વિશ્વભરના હવામાન વૈજ્ઞાનિકો પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વિકસતી એક એવી હવામાનિક ઘટનાને લઈને ચિંતિત છે, જે આગામી વર્ષોમાં સમગ્ર વિશ્વના હવામાનને અસર કરી શકે છે. વાત છે અલ નીનોની, જે હવે વધુ શક્તિશાળી સ્વરૂપ એટલે કે "સુપર અલ નીનો"માં પરિવર્તિત થવાની સંભાવના દર્શાવી રહ્યો છે. જો આ સ્થિતિ વધુ મજબૂત બને તો ભારત સહિત અનેક દેશોમાં વરસાદની પેટર્ન બદલાઈ શકે છે, દુષ્કાળ અને પૂર જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, ખેતીને નુકસાન પહોંચી શકે છે અને ખાદ્ય સુરક્ષા પર પણ અસર પડી શકે છે.
તાજેતરના વૈજ્ઞાનિક અંદાજો અનુસાર પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે અલ નીનોની અસર આગામી વર્ષોમાં વધુ ગંભીર બની શકે છે.
અલ નીનો શું છે અને તે કેવી રીતે બને છે?
અલ નીનો એક કુદરતી હવામાનિક ઘટના છે, જે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ વધી જવાથી સર્જાય છે. જ્યારે સમુદ્રનું પાણી લાંબા સમય સુધી સરેરાશ કરતાં ઓછામાં ઓછું 0.5 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ રહે છે ત્યારે અલ નીનોની સ્થિતિ સર્જાય છે.
આ વધેલું તાપમાન માત્ર સમુદ્ર પૂરતું મર્યાદિત રહેતું નથી પરંતુ વાયુમંડળના દબાણ, પવનની દિશા અને વરસાદની પદ્ધતિઓને પણ પ્રભાવિત કરે છે. પરિણામે હજારો કિલોમીટર દૂર આવેલા દેશોમાં પણ હવામાનમાં મોટા ફેરફારો જોવા મળે છે. તાજેતરમાં યુરોપિયન ક્લાઈમેટ એજન્સીના સેટેલાઇટ નિરીક્ષણોમાં પ્રશાંત મહાસાગરમાં આશરે 1000 કિલોમીટર પહોળી ગરમ પાણીની "કેલ્વિન વેવ" આગળ વધતી જોવા મળી હતી. આ ઘટના સામાન્ય રીતે મજબૂત અલ નીનોના સંકેત તરીકે જોવામાં આવે છે.
શું છે સુપર અલ નીનો?
"સુપર અલ નીનો" કોઈ સત્તાવાર વૈજ્ઞાનિક શબ્દ નથી, પરંતુ અત્યંત શક્તિશાળી અલ નીનો માટે તેનો ઉપયોગ થાય છે. સામાન્ય અલ નીનો અને સુપર અલ નીનો વચ્ચેનો મુખ્ય તફાવત સમુદ્રના તાપમાનમાં વધારાનો હોય છે. જ્યારે તાપમાન સરેરાશ કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ અથવા વધુ વધે ત્યારે તેને મજબૂત અલ નીનો ગણવામાં આવે છે. જો આ વધારો 2 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય તો તેને અત્યંત શક્તિશાળી અથવા સુપર અલ નીનો તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાના ક્લાઈમેટ પ્રેડિક્શન સેન્ટર મુજબ આગામી વર્ષોમાં અલ નીનો વધુ મજબૂત બનવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી રહી છે. કેટલાક મોડેલ્સ દર્શાવે છે કે 2027 સુધીમાં તે અત્યંત પ્રભાવશાળી સ્વરૂપ ધારણ કરી શકે છે.
દુનિયાના હવામાન પર કેવી અસર પડશે?
અલ નીનોની અસર એક પ્રદેશથી બીજા પ્રદેશમાં અલગ અલગ જોવા મળે છે. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, કેનેડા અને ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઘટે છે અને તાપમાન વધી જાય છે. પરિણામે દુષ્કાળ અને જંગલોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ શકે છે. બીજી તરફ દક્ષિણ અમેરિકાના કેટલાક દેશો જેમ કે ચિલી અને આર્જેન્ટિના તેમજ પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં પૂર, ભૂસ્ખલન અને અન્ય કુદરતી આપત્તિઓનું જોખમ વધે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે સુપર અલ નીનો વૈશ્વિક હવામાનમાં અસામાન્ય સ્થિતિઓ સર્જી શકે છે, જેના કારણે ઘણા દેશોમાં કૃષિ અને પાણી સંસાધનો પર સીધી અસર થશે.
ભારતના ચોમાસા પર કેવી અસર થઈ શકે?
ભારત માટે અલ નીનો સૌથી વધુ મહત્વનું છે કારણ કે તેનો સીધો સંબંધ ચોમાસા સાથે જોડાયેલો છે. ઐતિહાસિક રીતે જોવામાં આવે તો અલ નીનોના ઘણા વર્ષોમાં ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. જો ચોમાસું નબળું રહે તો કૃષિ ઉત્પાદન પર અસર પડી શકે છે. ભારતની મોટી વસ્તી હજુ પણ કૃષિ પર નિર્ભર હોવાથી વરસાદમાં ઘટાડો ખેડૂતો માટે મોટી ચિંતા બની શકે છે. દેશમાં પીવાના પાણીના જળાશયો, ડેમ અને સિંચાઈ વ્યવસ્થાઓ માટે પણ ચોમાસું અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતની વાર્ષિક વરસાદી જરૂરિયાતનો મોટો હિસ્સો દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી જ પૂરો થાય છે. તેથી નબળા ચોમાસાની અસર અર્થતંત્ર સુધી પહોંચી શકે છે.
ખેતી અને ખાદ્ય સુરક્ષા માટે વધતી ચિંતા
સુપર અલ નીનોની સૌથી મોટી અસર ખેતી ક્ષેત્ર પર પડી શકે છે. લાંબા સમય સુધી વરસાદમાં ઘટાડો રહે તો પાકને જરૂરી ભેજ ન મળવાને કારણે ઉત્પાદન ઘટી શકે છે.
ખાસ કરીને ચોખા, ઘઉં, મકાઈ અને કઠોળ જેવા પાકો પર તેની સીધી અસર થવાની શક્યતા રહે છે. પાક ઉત્પાદન ઘટવાથી ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે અને મોંઘવારીનો દબાણ વધે છે.
માત્ર જમીન પરની ખેતી જ નહીં પરંતુ સમુદ્રી પર્યાવરણ પણ પ્રભાવિત થઈ શકે છે. સમુદ્રના તાપમાનમાં વધારો માછલીઓના સ્થળાંતર અને પ્રજનન ચક્રને અસર કરી શકે છે, જેના કારણે માછીમારી ઉદ્યોગને નુકસાન પહોંચી શકે છે.
વાવાઝોડા અને અતિશય હવામાનની શક્યતા
અલ નીનોના વર્ષોમાં પ્રશાંત મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાઓની તીવ્રતા વધવાની શક્યતા રહે છે. ગરમ સમુદ્રી પાણી વાવાઝોડાઓને વધારાની ઊર્જા પૂરી પાડે છે.
આ કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ચક્રવાતો અને તોફાનો વધુ શક્તિશાળી બની શકે છે. ભારે વરસાદ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર અને પવનથી થતા નુકસાનમાં વધારો થવાની સંભાવના પણ વધી શકે છે.
વૈશ્વિક અર્થતંત્ર પર પણ પડશે અસર
વિશ્વ પહેલેથી જ ઊર્જા સંકટ, ભૂરાજકીય તણાવ અને મોંઘવારી જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં જો સુપર અલ નીનોને કારણે ખેતી ઉત્પાદન ઘટે અથવા કુદરતી આપત્તિઓમાં વધારો થાય તો વૈશ્વિક સપ્લાય ચેઇન પર પણ અસર પડી શકે છે.
ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો, કૃષિ નિકાસમાં ઘટાડો અને ઊર્જાની માંગમાં વધારો વૈશ્વિક અર્થતંત્ર માટે નવા પડકારો ઊભા કરી શકે છે. ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2027 અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષોમાંનું એક બની શકે છે.





