Surat News: શહેરમાં આત્મહત્યાના કિસ્સાઓ જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યા. સુરતના ડીંડોલી વિસ્તારમાં વધુ એક આશાસ્પદ યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
વહેલી સવારે બની ઘટના
મળતી માહિતી મુજબ, ડીંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવ નગરમાં રહેતા 26 વર્ષીય યુવકે આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ આ અંતિમ પગલું ભર્યું હતું. મૃતક યુવક હરિનગર નહેર વિસ્તારનો રહેવાસી હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો યુવક
આપઘાત કરનાર યુવક સુરતના ગઢ સમાન વરાછા વિસ્તારમાં ડાયમંડ ઉદ્યોગમાં નોકરી કરતો હતો. એક સામાન્ય રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને મદદરૂપ થતો આ યુવક અચાનક આવું પગલું ભરી લેશે તેવું કોઈએ વિચાર્યું ન હતું.
ડિપ્રેશન હોવાની પ્રાથમિક ચર્ચા
યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સ્થાનિક સ્તરે થતી ચર્ચાઓ મુજબ યુવક છેલ્લા કેટલાય સમયથી માનસિક તણાવ (ડિપ્રેશન) માં હતો. માનસિક રીતે પરેશાન હોવાને કારણે તેણે મોતને વહાલું કર્યું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. યુવકના આ પગલાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને આખા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.




















