Home Gujarat Sugam Digital Gujarat Cm Bhupendra Patel Arjun Modhwadia

'લાઇન' માંથી 'ઓનલાઇન' : CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલ, 20 મહત્વની સેવાઓ હવે પેપરલેસ

'લાઇન' માંથી 'ઓનલાઇન'
Published by: Chintan Chavda
| Last Updated: Mar 24, 2026, 09:28 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે આ એક ક્રાંતિકારી કદમ છે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ GARC (Gujarat Administrative Reforms Commission)ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે, રાજ્યના 5 મુખ્ય વિભાગોની 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ જાહેર કર્યું હતું. આ પહેલ દ્વારા હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' બનશે.

મુખ્યમંત્રીએ 'સુગમ ડિજિટલ ગુજરાત' અનાવરણ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે,આપણે ઘણા બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ, અને કાર્યક્રમ એક એવું માધ્યમ છે, જેના દ્વારા સરકાર જે કાર્યો કરે છે તે લોકો સુધી પહોંચે છે. એટલું જ નહીં, પણ જે કાર્ય કર્યું છે એમાં કોઈ રહી ન જાય અને પ્રેસના માધ્યમથી તે માહિતી ઘરે-ઘરે પહોંચે તો, જે નાગરિકો સરકારી યોજનાઓને પાત્ર હોય, તેઓ તેનો પૂરો લાભ લઈ શકે એવો સરકારનો હંમેશા પ્રયત્ન હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002માં 'સ્વાગત ઓનલાઇન' શરૂ કરીને ટેકનોલોજીના ઉપયોગને હંમેશા પ્રાથમિકતા આપી છે. એ જ પ્રાથમિકતાના આધારે આજે આપણે ખૂબ સારું પરિણામ મેળવી રહ્યા છીએ અને 20 જેટલી નવી સેવાઓ 'લાઇન' માંથી 'ઓનલાઇન' કરવા જઈ રહ્યા છીએ.

તમામ લોકોને ઘરે બેઠા સુવિધા મળે તે માટે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવાઓ પૂરી પાડવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ ડિજિટલ પ્રક્રિયામાં જો નાગરિકોને ક્યાંય પણ મુશ્કેલી જણાય, તો તેના નિવારણને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે તે પણ તેમણે જણાવ્યું હતું.
ગ્રામજનો સૌથી પહેલા કોઈના સંપર્કમાં આવતા હોય તો તે તલાટી અથવા VCE -વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ સેવાઓ ઓનલાઇન કેવી રીતે મળે છે, તેનો આપણે સૌ જેટલો પ્રચાર અને પ્રસાર કરીશું એટલો જ પ્રજાને અને તંત્રને ફાયદો થશે. તમે જે નોકરી કે સેવાનું કાર્ય કરો છો, તેનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ દિશામાં હોવો જોઈએ કે પ્રજાજનોના કામ સરળ થાય. આપણા મનમાં એ જ લક્ષ્ય હોવું જોઈએ કે જેટલી સરળતાથી લોકોનું કામ થાય એટલો આપણને સંતોષ મળે. જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ તમામ સ્તરે સાથે મળીને એક જ દિશામાં કામ કરે છે, ત્યારે તેનું પરિણામ અદભૂત આવે છે. ગુજરાતમાં આપણે સૌએ જોયું છે કે, ગમે તેવી પરિસ્થિતિ હોય, જો આપણે સાથે મળીને કામ કર્યું છે તો તેના સચોટ પરિણામો મળ્યા છે.

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, જ્યારે વડાપ્રધાને ડિજિટલ પેમેન્ટની વાત કરી હતી, ત્યારે ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે, આ કેવી રીતે શક્ય બનશે? પરંતુ આજે આખા દેશમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સામાન્ય અને નાના માણસો કરી રહ્યા છે. આમાં પ્રજાનો પણ મોટો સહકાર મળ્યો છે. જ્યારે સરકાર સમસ્યાઓના સમાધાન માટે આગળ વધતી હોય, ત્યારે પ્રજાનો સાથ હંમેશા મળતો રહ્યો છે. આજે 20 સેવાઓ ઓનલાઇન કરી છે અને ભવિષ્યમાં પણ આ ક્ષેત્રે ધ્યાન આપી નાગરિકો માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર તત્પર હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે અનાવરણ થઈ રહેલ પહેલને કારણે ઊભી થનારી વ્યવસ્થામાં ડેટા ડિજિટલ હોવાને કારણે નાગરિકે દરેક નવી સેવા માટે ફરી-ફરીને એના એ જ પેપરો આપવા નહીં પડે તેની વિગત આપતા કહ્યું કે, આ માટે ડિજીટલ લોકરની પણ શરુઆત થઈ રહી છે. ટેકનોલોજીના આ ઉપયોગનો લાભ જન-જન સુધી પહોંચે તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.

વડાપ્રધાનનું જે વિઝન 'વિકસિત ભારત -2047'માટે વિકસિત ગુજરાત' ને સાકાર કરવા આપણે સૌએ ડિજિટલ ક્ષેત્રે મહત્તમ આગળ વધવું છે. યુ.પી.આઈનો સૌથી વધુ ઉપયોગ નાના ફેરીયા અને શાકવાળા જેવા ઓછું ભણેલા લોકો કરી રહ્યા છે. ડિજિટલ સરળીકરણ થકી નાગરીક સેવાઓ વધુને વધુ સરળ બનાવી છે.

વર્તમાનમાં સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈ જ અછત નથી, બધું જ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે અને મળતું રહેશે. સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના કાર્ય મંત્ર સાથે સરકાર વિકસિત ગુજરાત માટે કામ કરી રહી છે.

બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડશે નહીં.

વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ડિજિટાઇઝેશન એ વર્તમાન ભારત, વર્તમાન ગુજરાત અને વર્તમાન નેતૃત્વની દેન છે. વડાપ્રધાન નરેન્દ્ર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગરિકો અને સરકાર વચ્ચેનું અંતર કેમ ઘટે એવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં. નાગરિકોને જનહિતલક્ષી સુવિધાઓ સરળતાથી મળે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરુ કરવામાં આવી હતી.
ગામડાની અંદર સીએચસી,પીએચસી સેન્ટરો અને શહેરી વિસ્તારોમાં જનસેવા કેન્દ્રો મારફત આ સેવાઓ ઝડપથી મળે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતાં. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશનના અહેવાલ મુજબ બધી જ નાગરિક કેન્દ્રિત સેવાઓ ડિજિટલ બનાવવાની શરૂઆત કરી છે.

મંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં દિલ્હીમાંથી એક રૂપિયો મોકલવામાં આવે ત્યારે 15 કે 16 પૈસા જ નાગરિકો સુધી પહોંચતા હતાં. જ્યારે આજે વડાપ્રધાનના નેતૃત્વમાં છેવાડાના નાગરિકને સીધે સીધી ડીબીટી મારફત પૂરે પૂરી સહાય મળી રહી છે. આ વખતે કમોસમી વરસાદ બદલ ખેડૂતોના ખાતામાં એક ક્લિકથી અંદાજે 11,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. જ્યારે 15,000 કરોડ રૂપિયાની એમએસપીથી ખરીદી કરવામાં આવી હતી. ઉપરાંત 26 હજાર કરોડ રૂપિયા એક જ ક્લિકથી બધા લાભાર્થીઓના એકાઉન્ટમાં જમા થઈ ગયા હતાં. આજે કદાચ આ ડિજિટલ સિસ્ટમ ન હોત તો આખી રાજ્ય સરકારના પાંચ - છ લાખ કર્મચારીઓ રોકાયેલા હોત. આજે રેશન કાર્ડ ઉપર મળતા અનાજની સેવાઓ, વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અને વિધવા બહેનોના પેન્શન જેવી સુવિધાઓ ડિજિટાઈઝેશન થવાથી સરળ, પારદર્શી અને ઝડપી બની છે. આ સેવાઓ સંપૂર્ણ ડિજિટલ નથી, કેટલાક દસ્તાવેજો ઓફલાઇન રજૂ કરવા પડે છે. આ પોર્ટલ કાર્યરત થવાથી નાગરિકો ઘરે બેસીને મોટાભાગની સેવાઓ માટેના ફોર્મ જાતે જ ભરી શકશે. 'નાગરિક દેવો ભવ' ના ભાવથી વર્તમાન સરકારના નેતૃત્વમાં શરુ થયેલી આ ડિજિટલ સુવિધાઓનું યોગદાન વિકસિત ભારત 2047 માં મહત્વનું યોગદાન સાબિત થશે.

ગુજરાત સરકાર ના મુખ્ય સચિવ મનોજ દાસે જણાવ્યું હતું કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આગ્રહ છે કે, ઇન્કમ સર્ટિફિકેટ , કાસ્ટ સર્ટિફિકેટ અને અન્ય સર્ટિફિકેટ માટે સરકારી કચેરીમાં, સરકારી કામ માટે આવતા લોકોની લાઈનો દૂર થવી જોઈએ. લોકોનું કામ ઘરે બેઠાં થવું જોઈએ. એંસી લાખ લોકો દર વર્ષે લાઈનમાં ઊભા રહે તે યોગ્ય નથી. આજે ટેકનોલોજીના માધ્યમથી મહેસૂલ, આરોગ્ય અને ઊર્જા સહિતના બધા વિભાગો સારું કામ કરી રહ્યા છે.

"સુગમ ડિજિટલ ગુજરાત" ની વિશેષતા અંગે મુખ્ય સચિવ એ જણાવ્યું કે, લોકોના કામ ઘરે બેઠાં થશે, સરકારી ઓફિસમાં નહીં જવું પડે. નાગરિકોને ફોનમાં, whatsapp પર બધું મળશે. આમાં બારકોડ છે અને આધારકાર્ડ આધારિત ઓથેન્ટિકેશન છે. આ સિસ્ટમ એવી રીતે ગોઠવવામાં અને વિકસાવવામાં આવી છે કે એક સાથે દસ લાખ લોકો પોર્ટલ પર પર આવી જાય તો પણ પ્રશ્નો ઊભા ન થાય. રાજ્ય સરકાર ઈઝ ઓફ લિવિંગ માટે પ્રતિબદ્ધ છે એમ જણાવી , નાગરિકોને નવી કોઈ સિસ્ટમ વિકસાવવાની ગુજરાત સરકારને જરૂર હોય તો તેનું સૂચન કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

આ અવસરે સામાન્ય વહીવટ વિભાગ (તાલીમ)ના અગ્ર સચિવ હારિત શુક્લાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,સમગ્ર પ્રક્રિયાના મનોમંથન અને અભ્યાસ રિપોર્ટ પછી આ ટોપ 20 સર્વિસ નાગરિકોની સુવિધા માટે કાર્યાન્વિત કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વિધાનસભામાં UCC બિલ રજૂ: ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું દેશનું બીજું રાજ્ય બનશે ગુજરાત

વિધાનસભામાં UCC બિલ રજૂ

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો ગરમાવો: 19 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી જાહેર, 2.38 લાખ નામો કપાતા વિવાદની શક્યતા

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો ગરમાવો

ખેડૂતો અને વેપારીઓ માટે સૌથી મહત્ત્વના સમાચાર: કેમ અચાનક બંધ થઈ ગયું ગુજરાતમાં આવેલું એશિયાનું કૃષિ બજાર સૌથી મોટું બંધ?

ખેડૂતો અને વેપારીઓ માટે સૌથી મહત્ત્વના સમાચાર

SSG હોસ્પિટલના તબીબોએ કરી કમાલ: 13 વર્ષની બાળકીની શ્વાસનળીમાં ફસાયેલી આ ધારદાર વસ્તું કાઢી આપ્યું નવજીવન

SSG હોસ્પિટલના તબીબોએ કરી કમાલ
Play Video