Punjab Tarn Taran Shootout Case: પંજાબના તરનતારન જિલ્લામાં આવેલા ઉસ્મા ગામની માઈ ભાગો લો કોલેજમાં સોમવારે (9 ફેબ્રુઆરી 2026) એક દુ:ખદ અને ભયાનક ઘટના બની છે. પ્રથમ વર્ષના લો વિદ્યાર્થી પ્રિન્સ રાજ (રાજ રાજ સિંહ તરીકે પણ ઓળખાય છે)એ વર્ગખંડમાં તેની સાથી વિદ્યાર્થીની સંદીપ કૌર (20) પર પિસ્તોલથી ગોળીબાર કર્યો, જેના કારણે તેણીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ત્યારબાદ આરોપીએ જ તે જ પિસ્તોલથી પોતાને ગોળી મારી લીધી.
ઘટના વર્ગખંડના CCTV કેમેરામાં કેદ
ઘટના વર્ગખંડના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં દેખાય છે કે પ્રિન્સ રાજે બેગમાંથી પિસ્તોલ કાઢીને સંદીપ કૌરના માથામાં નજીકથી ગોળી મારી, તેણી તરત જ ઢગલો થઈ ગઈ. પછી તેણે પિસ્તોલ રીલોડ કરીને પોતાને ગોળી મારી લીધી. બંને પ્રથમ વર્ષના વિદ્યાર્થી હતા. સંદીપ કૌર નૌશેરા પન્નુઆનની રહેવાસી હતી, જ્યારે પ્રિન્સ રાજ માલિયાણ (જલંધર) ગામનો હતો.
કેમ્પસમાં હોબાળો
આ ઘટનાથી આખા કેમ્પસમાં હોબાળો મચી ગયો. વિદ્યાર્થીઓ ગભરાઈને વર્ગખંડમાંથી બહાર દોડી ગયા. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી, કોલેજને સીલ કરી અને તપાસ શરૂ કરી. મૃતદેહોને કબજે લેવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે મોટિવ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તપાસ ચાલુ છે – કેટલીક અહેવાલોમાં એકતરફી પ્રેમ અથવા હેરાનગતિની શક્યતા દર્શાવવામાં આવી છે.
કોલેજ વહીવટ પર પણ સવાલો
પરિવારની માંગ છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય (જો કોઈ અન્ય સંડોવાયેલા હોય તો). કોલેજ વહીવટ પર પણ સવાલો ઉભા થયા છે કે પિસ્તોલ કેવી રીતે કેમ્પસમાં પહોંચી અને સુરક્ષા વ્યવસ્થા કેમ નિષ્ફળ રહી?આ ઘટનાએ આખા પંજાબમાં શોકની લાગણી ફેલાવી છે અને કેમ્પસ સુરક્ષા પર ગંભીર ચર્ચા શરૂ કરી દીધી છે.




















