શનિવાર રાત્રે નવી દિલ્લી રેલવે સ્ટેશન પર બનેલી દુર્ઘટનાથી સૌ કોઈ હચમચી ઉઠ્યું છે. અનિયંત્રિત ટોળા દ્વારા કચડી નાખવામાં, ગૂંગળામણ અને ભાગદોડમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા. આ ઘટના દરમિયાન એવી પણ ઘટના સામે આવી છે, જાણીને આપ માનવતા પર જ સવાલ કરી ઉઠશો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તે સમયે જ્યારે ભાગદોડ ચાલી રહી હતી, ત્યારે ખિસ્સા કાતરુઓ લોકોના ખિસ્સા કાપી રહ્યા હતા. અનેક લોકો છરીઓથી ઘાયલ થયા હતા. જેના કારણે વધુ હંગામો થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ ઘાયલોને મદદ કરવામાં લગભગ 45 મિનિટનો સમય લાગ્યો હતો.
પ્લેટફોર્મ બદલવાની જાહેરાત બાદ ભાગદોડ
સ્ટેશન પર હાજર લોકોએ કહ્યું કે આ ઘટના રાત્રે 8.00થી 8.30 વાગ્યાની વચ્ચે બની હતી. રેલવે વહિવટીતંત્ર દ્વારા ટ્રેનના પ્લેટફોર્મ બદલવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના કારણે લોકો એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર દોડવા લાગ્યા અને ભાગદોડ મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો પાસે જનરલ ટિકિટ હતી.
ભોગબનનારને વળતર
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ભાગદોડથી પ્રભાવિત લોકોને વળતરની જાહેરાત કરવામાં આવી છે. 10 લાખની સહાય મૃતકના પરિવારને આપવામાં આવશે. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય રીતે ઈજાગ્રસ્તોને એક લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. લોકોએ એવો પણ દાવો કર્યો છે કે જનરલ ટિકિટ ખૂબ જ બેદરકારીથી વેચવામાં આવી છે. બિનહિસાબી ટિકિટ વેચતી વખતે, લોકોને આ ટિકિટ લેવા અને જ્યાં પણ શક્ય હોય ત્યાં બેસવાનું કહેવામાં આવ્યું છે, પછી તે એસી હોય કે સ્લીપર.





