કોહલી (36) અને રોહિત (38) એ T20I અને ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. હવે તે માત્ર ODI અને IPL રમતા જોવા મળશે. આ બંને કદાચ ઓસ્ટ્રેલિયામાં 3 મેચની ODI શ્રેણીમાં અને પછી ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે 3 મેચની ODI શ્રેણીમાં રમશે. આ પછી, બંનેને જાન્યુઆરી અને જુલાઈ 2026 માં ન્યુઝીલેન્ડની સામે (ઘરઆંગણે) અને ઇંગ્લેન્ડની સામે (વિદેશમાં) 6 ODI મેચ રમવાની તક મળશે.
રોહિત-કોહલી IPLમાં આવતા 2 વર્ષ સુધી રમતા રહેશે?
પરંતુ શું આ સિરીઝો 2027 માં યોજાનારા ODI વર્લ્ડ કપની તૈયારી માટે હશે? શું આ બંને ખેલાડીઓ આગામી 2 વર્ષ સુધી ફક્ત એક જ ફોર્મેટ અને IPL પર આધાર રાખીને રમવાનું ચાલુ રાખશે? BCCI ના એક સૂત્રએ જણાવ્યું,'આ અંગે ટૂંક સમયમાં ચર્ચા થશે. 2027 ના વર્લ્ડ કપ માટે હજુ બે વર્ષથી વધુ સમય બાકી છે. ત્યાં સુધીમાં કોહલી અને રોહિત લગભગ 40 વર્ષના થઈ જશે. આપણે સ્પષ્ટ રણનીતિ બનાવવી પડશે અને યુવા ખેલાડીઓને પણ તક આપવી પડશે.' T20 વર્લ્ડ કપ 2024 જીત્યા પછી, બંને ખેલાડીઓએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી, પરંતુ કોઈ પણ અવાજ વિના ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. હવે પ્રશ્ન એ છે કે શું તેમને તેમના નિવૃત્તિનો સમય નક્કી કરવાની મંજૂરી આપવામાં આવશે કે બોર્ડ તેમને ધીમે ધીમે ટીમમાંથી દૂર કરશે?
'... ચોક્કસપણે બંને સાથે વાતચીત થશે'
સૂત્રએ કહ્યું, 'કોહલી અને રોહિતે ભારત માટે ઘણું કર્યું છે. તેથી તેમના પર કોઈ દબાણ નહીં હોય, પરંતુ આગામી ODI સિરીઝ શરૂ થાય તે પહેલાં, તેમની સાથે ચોક્કસ પણે વાતચીત થશે. એક બીજી ચિંતા છે કે, રોહિત અને કોહલી આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન ટ્રોફીના પછી કોઈ પણ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી. હવે નવેમ્બરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (T20) અને ડિસેમ્બરમાં વિજય હજારે ટ્રોફી (ODI) ની પહેલા તેમની પાસે કોઈ પણ ઘરેલું મેચ પણ નથી. બીસીસીઆઈના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી ફિટ હોય, તેને ઘરેલુ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવું ફરજિયાત છે. જો તે ન રમે તો તેને ટીમમાંથી બહાર કરી શકાય છે. જોકે, કોહલી અને રોહિત જેવા મોટા ખેલાડીઓને આમાંથી છૂટ મળી શકે છે.




















