ગુજરાતના વર્ષ 2026-27ના બજેટને લઈને સરકાર તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ બજેટ વિકાસલક્ષી અને જનકલ્યાણને પ્રાથમિકતા આપતું છે. તેમના જણાવ્યા મુજબ શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના ક્ષેત્રોમાં વધારાની જોગવાઈઓ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
'અંદાજપત્ર સામાન્ય નાગરિક, ખેડૂત અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું'
મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે યુવાનો માટે રોજગારના નવા અવસર ઉભા કરવા અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સરકાર પ્રતિબદ્ધ છે. આ બજેટમાં રોજગારી સર્જન અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જે રાજ્યની આર્થિક પ્રગતિને વધુ મજબૂત બનાવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ અંદાજપત્ર સામાન્ય નાગરિક, ખેડૂત અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યને આત્મનિર્ભર અને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા આ બજેટ અસરકારક સાબિત થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી.
'કોંગ્રેસના સમયમાં 11 હજાર કરોડનું બજેટ 1995માં મૂકાયું હતું'
જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે, 'નાણામંત્રીએ ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે અને આર્થિક-સામાજિક રીતે આ બજેટ મહત્વનું સાબિત થશે'. વિપક્ષના આરોપો પર જીતુ વાઘાણી પલટવાર કરતા કહ્યું કે, 'કોંગ્રેસના સમયમાં 11 હજાર કરોડનું બજેટ 1995માં મૂકાયું અને કોંગ્રેસે ગામડા-શહેરોનો વિકાસ કર્યો જ નથી'




















