ગાંધીનગરમાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વિભાગોના સેક્રેટરીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ગ્રાન્ટના અભાવે કોઈપણ વિકાસકાર્ય અટકવું ન જોઈએ. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, તમામ વિભાગોને ભેટમાં ફાળવાયેલી ગ્રાન્ટ માર્ચના અંત સુધીમાં સંપૂર્ણ રીતે ખર્ચવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, પ્રજા હિતના કામો માટે ગ્રાન્ટનો ઝડપી ઉપયોગ કરવો જરૂરી છે, જેથી નવા બજેટમાં નવા પ્લાનિંગ સાથે આગળ વધી શકાયટ.
'રોડની ગુણવત્તા ચકાસી રિપોર્ટ સોંપવા સૂચના આપી'
રોડના મુદ્દે વાત કરતાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મહેમદાવાદથી મહુધાનો રોડ આશરે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે ખરાબ થઈ જતાં આ બાબતે તપાસ સોંપવામાં આવી છે. રોડની ગુણવત્તા ચકાસી રિપોર્ટ સોંપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઓક્ટોબરમાં થયેલા કમોસમી વરસાદના નુકશાન અંગે તેમણે જણાવ્યું કે કુલ 33,08,951 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી 32,49,424 ખેડૂતોને સહાય મળી ચૂકી છે અને 2,24,386 લોકોને તેમના ખાતામાં ઓનલાઈન રકમ જમા કરવામાં આવી છે.
'...આક્ષેપ કરવાથી જનતા ક્યારેય કોંગ્રેસને સ્વીકારવાની નથી'
SIR પ્રક્રિયા અંગે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપતાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 7 નંબરનું ફોર્મ ભરાવી લોકોના નામો કમી કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ખોટા છે. તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયા પર ચૂંટણી પંચ નજર રાખી રહ્યો છે અને તારીખ પણ લંબાવવામાં આવી છે. હજી સુધી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચ કે ભાજપ પર આક્ષેપ કરવાથી જનતા ક્યારેય કોંગ્રેસને સ્વીકારવાની નથી. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને આવી આક્ષેપબાજીથી તેમને કોઈ ફાયદો થવાનો નથી.
'ગુણવત્તા બાબતે કોઈ પ્રકારનો કોમ્પ્રોમાઈઝ ચાલશે નહી'
ટાંકી ધરાશાયી થવાના મુદ્દે જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ કેબિનેટમાં સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ વિભાગોમાં ગુણવત્તાની કડક ચકાસણી કરવામાં આવે. કોઈપણ વિકાસકાર્યમાં ગુણવત્તા બાબતે કોઈ પ્રકારનો કોમ્પ્રોમાઈઝ સહન કરવામાં નહીં આવે તેવી પણ કડક સૂચના આપવામાં આવી છે.





















