વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોરઠી ઘેડ વિસ્તારમાં ખેડૂતોને રાહત મળે તે માટે મોટી યોજના જાહેર કરી છે. ગુજરાતના પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘેડ પંથક માટે કુલ રૂ. 1534.19 કરોડની યોજના અમલમાં મૂકવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.
અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ ઘેડ વિસ્તારમાં બે મહત્વના પ્રોજેક્ટ માટે ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. હાલ ફેઝ-1 ની કામગીરી પ્રગતિ હેઠળ છે, જ્યારે ફેઝ-2 માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેમાં અંદાજે રૂ. 1423 કરોડનો ખર્ચ થશે.
6 તાલુકાના ખેડૂતોને થશે લાભ
આ યોજના અમલમાં આવતા સોરઠી ઘેડ વિસ્તારના 6 તાલુકાના હજારો ખેડૂતોને સીધો લાભ મળશે. આ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણીના કારણે મહિનાઓ સુધી પાણી ભરાઈ રહે છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પાણી ઉતર્યા બાદ સિંચાઈની સમસ્યા
ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને પાણી ઉતર્યા બાદ સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. જેના કારણે ખેતી પર સીધી અસર પડે છે.
નદીઓના મુખ પહોળા કરવાની કામગીરી
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ યોજના હેઠળ નદીઓના સાંકડા થઈ ગયેલા મુખને પહોળા કરવામાં આવશે જેથી વરસાદી પાણી ઝડપથી બહાર નીકળી શકે. ઉપરાંત જ્યાં જરૂરી હશે ત્યાં ચેક ડેમ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, જેથી પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકે.
ઝડપથી કામ પૂર્ણ કરવા તાંત્રિક મંજૂરી
વન પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે આ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તાંત્રિક મંજૂરી પણ આપવામાં આવશે, જેથી યોજના સમયસર પૂર્ણ થઈ ખેડૂતોને તેનો લાભ મળી શકે.




















