Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ આખરે સંગીતકાર પલાશ મુચ્છલ સાથેના લગ્ન રદ થવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. રવિવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લાંબું નિવેદન શેર કરતાં સ્મૃતિએ સ્પષ્ટ કર્યું કે, “લગ્ન રદ કરવામાં આવ્યા છે” અને તેણે બંને પરિવારોની ગોપનીયતાનો આદર કરવા જનતાને વિનંતી કરી.
સ્મૃતિએ લખ્યું,

“છેલ્લા કેટલાક અઠવાડિયાથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે. હું ખૂબ જ ખાનગી વ્યક્તિ છું, પરંતુ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે લગ્ન રદ થઈ ગયા છે. હું આ બાબતને અહીં જ સમાપ્ત કરું છું અને તમને પણ એવું કરવા વિનંતી કરું છું. કૃપા કરીને બંને પરિવારોની ગોપનીયતાનું સન્માન કરો અને અમને આગળ વધવા માટે સમય આપો.”
તેણે પોતાના ક્રિકેટ કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત પણ કહી “મારા માટે હંમેશાથી સૌથી મોટો હેતુ દેશ માટે ઊંચા સ્તરે રમવું અને ટ્રોફી જીતવી રહ્યો છે. હું આશા રાખું છું કે લાંબા સમય સુધી ભારત માટે રમીશ અને દેશને ગૌરવ અપાવીશ. હવે આગળ વધવાનો સમય છે.”
પલાશ મુચ્છલની પ્રતિક્રિયા
સ્મૃતિના નિવેદન બાદ પલાશ મુચ્છલે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની વાત રજૂ કરી. તેણે લખ્યું, “મેં મારા જીવનમાં આગળ વધવાનું અને અંગત સંબંધોથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. લોકો સૌથી પવિત્ર બાબતો વિશે પાયાવિહોણી અફવાઓ એટલી સરળતાથી ફેલાવે છે, એ જોવું ખૂબ જ દુ:ખદાયક છે. મારી ટીમ ખોટી અને બદનક્ષીભરી વાર્તાઓ ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરશે.”
શું થયું હતું?
23 નવેમ્બરે નક્કી થયેલા લગ્ન લગ્નના દિવસે જ અચાનક મુલતવી રાખવામાં આવ્યા હતા કારણ કે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાના ગંભીર રીતે બીમાર પડ્યા અને હોસ્પિટલમાં દાખલ થયા. બીજા દિવસે પલાશ પણ બીમાર પડ્યો. ત્યારથી સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાઈ, જેનો આજે બંનેએ સત્તાવાર રીતે અંત આણ્યો.આ મુશ્કેલ સમયમાં ચાહકો સ્મૃતિ મંધાનાને સતત સમર્થન આપી રહ્યા છે અને તેની ક્રિકેટ તરફ પાછી ધમાકેદાર વાપસીની રાહ જોઈ રહ્યા છે.




















