Garud Puran: હિન્દુ ધર્મમાં 18 પુરાણોનું વિશેષ મહત્વ છે, જેમાં 'ગરુડ પુરાણ'ને મૃત્યુ અને ત્યારબાદની આત્માની સફરનો સૌથી મોટો ગ્રંથ માનવામાં આવે છે. આ પુરાણમાં માત્ર પાપ-પુણ્ય કે નરક-સ્વર્ગની વાતો જ નથી, પરંતુ જીવનના અંતિમ પડાવ વિશે પણ ઊંડું જ્ઞાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે, ત્યારે યમરાજ અચાનક નથી આવતા, પરંતુ પ્રકૃતિ અને શરીર દ્વારા કેટલાક એવા સંકેતો મળવા લાગે છે જેને આપણે સામાન્ય સમજીને અવગણીએ છીએ.
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પૂર્વે દેખાતા આ સંકેતો વ્યક્તિને તેના અંતિમ પ્રયાણ માટે માનસિક રીતે તૈયાર કરે છે. માન્યતા છે કે આ સંકેતો દેખાયા બાદ વ્યક્તિની આસપાસની ઉર્જા બદલાવા લાગે છે અને તેની આત્મા ધીમે ધીમે ભૌતિક શરીર સાથેનો મોહ છોડવા લાગે છે. ચાલો જાણીએ ગરુડ પુરાણમાં વર્ણવેલા એવા 6 સંકેતો વિશે જે મૃત્યુની દસ્તક માનવામાં આવે છે.
1. શ્વાસની ગતિમાં અચાનક ફેરફાર
જ્યારે કોઈ વ્યક્તિનો અંતિમ સમય નજીક આવે છે, ત્યારે તેની શ્વાસ લેવાની પ્રક્રિયા અનિયમિત થઈ જાય છે. ગરુડ પુરાણ મુજબ, વ્યક્તિના શ્વાસ ક્યારેક ખૂબ ઝડપી તો ક્યારેક અત્યંત ધીમા થઈ જાય છે. આ સ્થિતિમાં વ્યક્તિનું મન સંસારની વાતોમાંથી હટીને કોઈ અજ્ઞાત બિંદુ પર કેન્દ્રિત થવા લાગે છે.
2. હથેળીની રેખાઓ ઝાંખી પડવી
હસ્તરેખા શાસ્ત્ર અને પુરાણો મુજબ, જીવનની ઉર્જા જેમ જેમ ઓછી થતી જાય છે, તેમ તેમ હથેળીમાં રહેલી સ્પષ્ટ રેખાઓ આપોઆપ ધૂંધળી કે હળવી થવા લાગે છે. તેને જીવન શક્તિ ક્ષીણ થવાનું પ્રતીક માનવામાં આવે છે.
3. સપનામાં વિચિત્ર દ્રશ્યો દેખાવા
મૃત્યુ પૂર્વે વ્યક્તિને ડરામણા કે પ્રતીકાત્મક સપના આવવાનું શરૂ થાય છે. જેમ કે, બુઝાઈ ગયેલો દીવો, ગાઢ અંધકાર અથવા પિતૃઓનું દેખાવું. આ સંકેતો દર્શાવે છે કે જીવનની જ્યોત હવે મંદ પડી રહી છે.
4. પોતાની જ પરછાઈ ન દેખાવી
એક પ્રાચીન માન્યતા અને ગરુડ પુરાણના ઉલ્લેખ મુજબ, જ્યારે મૃત્યુ અત્યંત નજીક હોય ત્યારે વ્યક્તિને તેલ, ઘી કે પાણીમાં પોતાનું પ્રતિબિંબ (પરછાઈ) સ્પષ્ટ દેખાતું નથી. કેટલીકવાર વ્યક્તિને પોતાની છાયા પોતાનાથી અલગ થતી હોવાનો ભાસ થાય છે.
5. અદ્રશ્ય શક્તિઓનો અહેસાસ
અંતિમ ક્ષણોમાં વ્યક્તિને ઘણીવાર એવું લાગે છે કે તેની આસપાસ કોઈ અદ્રશ્ય શક્તિ અથવા તેના પૂર્વજો ઊભા છે. આ આત્માના આગામી પ્રવાસની તૈયારી હોવાનું મનાય છે, જ્યાં તેના પૂર્વજો તેને લેવા આવ્યા હોય તેવો અનુભવ થાય છે.
6. નાકનો અગ્રભાગ ન દેખાવો
સામાન્ય રીતે આપણે આપણી નજર નીચે કરીએ તો નાકનો અગ્રભાગ (ટેરવું) જોઈ શકીએ છીએ. પરંતુ ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુની ઘડીઓ ગણાતી હોય ત્યારે વ્યક્તિની દ્રષ્ટિમાં ફેરફાર આવે છે અને તેને પોતાનું નાક દેખાતું બંધ થઈ જાય છે.





