Shreyas Iyer became captain immediately after recovering from injury: ભારતીય વનડે ટીમના વાઇસ-કપ્તાન શ્રેયસ ઐયર ઈજામાંથી પાછો કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરતાં પહેલા, શ્રેયસ ઐયર વિજય હજારે ટ્રોફીમાં રમશે. શ્રેયસ ઐયરને વિજય હજારે ટ્રોફી માટે મુંબઈ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના સ્થાને શ્રેયસ ઐયરને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
વિજય હજારે ટ્રોફીમાં રમશે શ્રેયસ ઐયર
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "MCA ને જાહેરાત કરતા આનંદ થાય છે કે, શ્રેયસ ઐયરને વિજય હજારે ટ્રોફીની બાકીની લીગ મેચો માટે મુંબઈ સિનિયર મેન્સ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે છે." વિજય હજારે ટ્રોફીના લીગ સ્ટેજ પછી શ્રેયસ ઐયરનું કેપ્ટન તરીકે ચાલુ રહેવું એ BCCI દ્વારા ઇન્ટરનેશનલ મેચો માટે તેમની ફિટનેસને મંજૂરી આપવા પર આધારિત છે. શ્રેયસ ઐયરને 11 જાન્યુઆરીથી બરોડામાં શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
શ્રેયસ ઐયરે પ્રેક્ટિસ મેચ રમી
શ્રેયસ ઐયરને બેંગલુરુમાં BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) દ્વારા રમવા માટે મંજૂરી આપવામાં આવી છે, જે ચોક્કસ શરતોને આધીન છે. શ્રેયસ ઐયરે તેના રીહબિલિટેશનના અંતિમ સ્ટેજ માટે CoE ખાતે 10 દિવસ વિતાવ્યા હતા. ક્રિકેટના નિયમ મુજબ, શ્રેયસ ઐયરે 2 જાન્યુઆરીએ પ્રેક્ટિસ મેચ પણ રમી હતી. આ પ્રેક્ટિસ મેચ દરમિયાન શ્રેયસ ઐયરે કોઈ અગવડતા અનુભવી ન હતી. વિજય હજારે ટ્રોફીમાં શ્રેયસ ઐયરનો રેકોર્ડ પ્રભાવશાળી છે. તેને 2024 માં કર્ણાટક સામે 50 બોલમાં 114 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે આ ટુર્નામેન્ટમાં સતત સારું પર્ફોમન્સ કર્યું છે. તે ગયા સિઝનમાં મુંબઈનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેને પાંચ મેચમાં 325 રન બનાવ્યા હતા.
કેવી રીતે થઈ શ્રેયસ ઐયરને ઈજા?
25 ઓક્ટોબર, 2025 ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે ભારતની ત્રીજી વનડે દરમિયાન શ્રેયસ ઐયરને ગંભીર ઈજા થઈ હતી. થર્ડ-મેન બાઉન્ડ્રી પાસે કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે, શ્રેયસ ઐયર પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને તેની પાંસળીઓ પર પડી ગયો. જેના કારણે શ્રેયસ ઐયરને ગંભીર ઈજા થઈ અને ઈન્ટરનલ બ્લીડિંગ થઈ. ત્યારથી શ્રેયસ ઐયર ક્રિકેટ રમ્યો નથી.





















