પાકિસ્તાન માટે ભારતની જાસૂસની કરનાર હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની તપાસમાં જેટલી તપાસ એટલા જ ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યાં છે. જેમાં સૌથી મોટી માહિતી સામે આવી કે જ્યોતિએ 4 વખત બિહારના ભાગલપુરના અજગૈબીનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ માહિતી સામે આવતાં જ બિહારમાં ખળભળાટ મચ્યો છે. જે બાદ સમગ્ર મંદિરની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
જ્યોતિ 1 વર્ષમાં 4 વખત ગઇ ભાગલપુર, વધારાઇ મંદિરની સુરક્ષા:
જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાએ 2023માં ચાર વખત બિહારના ભાગલપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. "ટ્રાવેલ વિથ JO" ચેનલ ચલાવતી જ્યોતિએ તેની મુલાકાતો દરમિયાન સુલતાનગંજના અજગૈબીનાથ મંદિરમાં ફિલ્માંકન કર્યું હતું. હરિયાણાના હિસારમાં તેની ધરપકડ બાદ, અધિકારીઓએ મંદિર અને નજીકના વિસ્તારોની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. ભાગલપુર પોલીસે દેખરેખ વધુ તીવ્ર બનાવી છે. પાકિસ્તાન માટે જાસૂસી કરાઇ હોવાનું સામે આવતાં જ્યોતિના સ્થાનિક સંપર્કો અને સોશિયલ મીડિયાના નેટવર્કની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેના ફોન તેમજ લેપટોપની FSL તપાસ કરી રહ્યું છે.
જ્યોતિએ ISI અધિકારીને કહ્યું, "હું એટલી પણ પાગલ નથી"
જ્યોતિ મલ્હોત્રા અને નાપાક ISI અધિકારી અલી હસન વચ્ચેના વિસ્ફોટક વોટ્સએપ ચેટ્સે પાકિસ્તાની જાસૂસી નેટવર્કમાં જ્યોતિની કથિત ભૂમિકાનો પર્દાફાશ થયો છે. વોટ્સએપ ચેટની તપાસમાં સામે આવ્યું કે જ્યોતિ મલ્હોત્રાને ભારતીય ગુપ્તચર એજન્ટોને ઓળખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કોડવર્ડની વાતચીતમાં ISI અધિકારી હસને મલ્હોત્રાને અટારી સરહદ પર પ્રોટોકોલ વિશે પૂછ્યું, જેમાં ભારતીય સેના અને એજન્સીનાં ગુપ્તચર અધિકારીઓને શોધવાનું કહેવામાં આવ્યું હતું. એક વાતચીતમાં હસને ગુરુદ્વારામાં એજન્ટને લાવવા નિર્દેશો આપ્યા હતાં, જેના જવામાં જ્યોતિ મલ્હોત્રાએ કહ્યું કે, "હું એટલી પણ પાગલ નથી." ૧૩ મે, ૨૦૨૫ ના રોજ ભારતમાંથી હાંકી કાઢવામાં આવેલા પાકિસ્તાની અધિકારી દાનિશ દ્વારા મલ્હોત્રા સાથે પરિચય કરાવનાર હસન, તેની પાકિસ્તાન મુલાકાતોને સરળ બનાવતો હતો.
ISI અધિકારીઓ-પાકિસ્તાની નેતાઓ સાથેના સંબંધોની તપાસ:
20 મે 2025ના રોજ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની તપાસમાં સામે આવ્યું કે જ્યોતિ એવા એવા લોકોને મળી હતી જેને સામાન્ય પાકિસ્તાની લોકો પણ મળી શકતાં નથી. 3.7 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી જ્યોતિની ચેનલ "ટ્રાવેલ વિથ JO"માં જ્યોતિએ પાકિસ્તાન પ્રવાસનો સમગ્ર વીડિયો અપલોડ કર્યો હતો. જ્યોતિ મલ્હોત્રાએ 2023, 2024 અને માર્ચ 2025માં એમ ત્રણ વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. એપ્રિલ 2024માં પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફ સહિત ઉચ્ચ-પ્રોફાઇલ વ્યક્તિઓને પણ જ્યોતિ મળી હતી. અધિકારીઓની તપાસમાં સામે આવ્યું કે 13 મે, 2025ના રોજ જાસૂસીના આરોપમાં ભારતમાંથી હાંકી કાઢવામાં આવેલા પાકિસ્તાની અધિકારી દાનિશ સાથે જ્યોતિના ફોટો અને વીડિયો હતાં. જ્યોતિએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનનાં કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપતી હતી. NIA, IB અને મિલિટરી ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલી તપાસમાં જ્યોતિની ડાયરીની એન્ટ્રીઓ પણ મળી આવી છે. જેમાં સરહદપારના લોકોનાં વખણ કરવામાં આવ્યાં છે.





