વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 20મી જુલાઈએ મેચ રમવાની હતી. પરંતુ પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારતીય ખેલાડીઓએ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો અને મેચ રદ કરાઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારત સામે ઝેર ઓક્યું હતું. તેમણે કહ્યું કે, 'ભારતીય ક્રિકેટરો મેચ ન રમી શકવાથી નિરાશ થયા હતા.' આ ઉપરાંત તેણે આ મેચ રદ થવા માટે શિખર ધવનને દોષી ઠેરવ્યો હતો.
શાહિદ આફ્રિદીએ શું કહ્યું?
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતના છેલ્લા ઘડીના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે કહ્યું, 'અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. જો ભારતને પાકિસ્તાન સામે રમવા માંગતું ન હોત, તો તેમણે અહીં આવતા પહેલા ના પાડી દેવી જોઈતી હતી. પરંતુ હવે તમે આવ્યા છો, પ્રેક્ટિસ પણ કરી છે અને પછી અચાનક એક જ દિવસમાં બધું બદલી નાખ્યું છે.' શાહિદ આફ્રિદીએ વધુમાં કહ્યું, રમત દેશોને નજીક લાવે છે. જો રાજકારણ દરેક વસ્તુની વચ્ચે આવી જાય, તો તમે કેવી રીતે આગળ વધશો? વાતચીત વગર બાબતોનો ઉકેલ આવી શકતો નથી. આવી ઘટનાઓનો હેતુ એકબીજાને મળવાનો પણ હોય છે. "હંમેશા એક સડેલું ઈંડું હોય છે, જે બધું બગાડે છે."
શું કહ્યું હતું શિખર ધવને??
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા શિખર ધવને કહ્યું કે હું હજૂ પણ 11 મેના રોજ લીધેલા નિર્ણય પર અડગ છું. મારો દેશ મારા માટે બધું જ છે અને મારા દેશથી મોટું કંઈ નથી.11 મેના રોજ શિખર ધવને કહ્યું હતું કે તે આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે પરંતુ પાકિસ્તાન ટીમ સાથે કોઈ મેચ રમશે નહીં. શિખર ધવને WCLને આ માહિતી ઇમેઇલ દ્વારા આપી હતી.





















