ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા અમિત ચાવડાએ મતદાર યાદી સંબંધિત ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સુનિયોજિત ષડયંત્ર હેઠળ લાખો સાચા મતદારોના મતાધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ચૂંટણી પંચ ક્યારેક 12.59 લાખ, ક્યારેક 9.5 લાખ અને ક્યારેક 1.83 લાખ ફોર્મ-7ના આંકડા જાહેર કરે છે, તો આ આંકડાઓમાંઓ મોટો ફેરફાર કેમ જોવા મળે છે?
'ભાજપના કાર્યકરો પાસે લાખોની સંખ્યામાં ફોર્મ-7 કેવી રીતે પહોંચ્યા?'
અમિત ચાવડાના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચને અનેકવાર માંગ કરવા છતાં સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવતી નથી અને માહિતી છુપાવવામાં આવી રહી છે. તેમણે વધુમાં પ્રશ્ન કર્યો કે, ભાજપના કાર્યકરો પાસે લાખોની સંખ્યામાં ફોર્મ-7 કેવી રીતે પહોંચ્યા? તેમણે આંકડાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ખેડા જિલ્લામાં 1,35,174 ફોર્મ-7 દાખલ થયા હતા, જેમાંથી માત્ર 1,025 સ્વીકારાયા, જ્યારે આણંદ જિલ્લામાં 69,057 ફોર્મ-7માંથી માત્ર 747 સ્વીકારાયા હતા. આ પરિસ્થિતિ ગંભીર શંકા ઊભી કરે છે.
'...તેમને છોડવામાં નહીં આવે'
તેમણે માંગ કરી કે, થપ્પાબંધ ફોર્મ-7 ચૂંટણી પંચમાં કોના દ્વારા જમા કરાવવામાં આવ્યા તેની વિગત જાહેર કરવામાં આવે અને સંબંધિત સી.સી.ટી.વી. ફૂટેજ જાહેર કરવામાં આવે. અમિત ચાવડાએ ચેતવણી આપી કે જે ચૂંટણી અધિકારીઓની મિલીભગતથી મતદારોના અધિકારો છીનવવાનો પ્રયાસ થયો છે, તેમને છોડવામાં નહીં આવે. સાથે જ ખોટા ફોર્મ-7 રજુ કરનાર ભાજપના મળતિયાઓ સામે ભારત ન્યાય સહિતા હેઠળ ફોજદારી કાર્યવાહી કરવાની પણ તેમણે માંગ કરી છે.




















