Indore-Ahmedabad Highway Accident : દાહોદ જિલ્લાના જાલત નજીક ઈન્દોર–અમદાવાદ હાઈવે પર મોડી રાત્રીના એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશ રાજ્ય પરિવહન નિગમની બસને આ અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ અવંતિકા હોટલ પાસે બસ ટર્ન લઈ રહી હતી, તે દરમિયાન પાછળથી ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક બસને જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે બસ પલટી મારી માર્ગ પર ઘસડાઈ ગઈ, જેના કારણે સમગ્ર હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માતમાં 1નું મોત 17 ઈજાગ્રસ્ત
અકસ્માત સમયે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. આ ગંભીર અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે 17 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. બસ પલટી જતા અનેક મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઈન્દોર–અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ
અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલુ છે. હોસ્પિટલ તરફથી મળતી માહિતી મુજબ મોટાભાગના ઇજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર હોવાનું જણાવાયું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. ટ્રક ચાલકની બેદરકારીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના સાચા કારણો જાણવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માતના કારણે થોડા સમય માટે ઈન્દોર–અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો





















