જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે આજે ઈન્ટરનેશનલ બિગ કેટ સમીટનો ભવ્ય પ્રારંભ થયો છે જેમાં દેશ-વિદેશના વન્યજીવ નિષ્ણાતો, અધિકારીઓ અને નીતિનિર્ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ સમીટ ભારત સરકારના પર્યાવરણ, વન અને આંબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય બિગ કેટ પ્રજાતિઓના સંરક્ષણને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ હાજરીમાં કરવામાં આવ્યું હતું. સમીટમાં ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના ડાયરેક્ટર એસ.પી. યાદવે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બિગ કેટ સંરક્ષણ માટે વૈશ્વિક સહકાર અને વૈજ્ઞાનિક અભિગમ અત્યંત આવશ્યક છે.
આ પણ વાંચો: ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટી ખુશખબર : ખાલી પડેલી 1,141 જગ્યાઓ માટે મુખ્યમંત્રીની મંજૂરી
બિગ કેટ સંરક્ષણ
આ સમીટ દરમિયાન ભારતમાં જોવા મળતી પાંચ મહત્વપૂર્ણ બિગ કેટ પ્રજાતિઓ.
એશિયાટિક સિંહ
વાઘ
દીપડો
સ્નો લેપર્ડ
ચિત્તો
આ પ્રજાતિઓ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ભારતની કુદરતી વારસાનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
સાસણ ગીર, જે વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે ત્યાં યોજાયેલી આ સમીટમાં ‘પ્રોજેક્ટ લાયન’ હેઠળ લેવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમાં સિંહોના રહેઠાણ વિસ્તારનો વધારો, વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા તેમની વસ્તીની સતત દેખરેખ અને રોગચાળાની સામેની પૂર્વ તૈયારી જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા છે.

સ્થાનિક સમુદાય અને સંરક્ષણ વચ્ચેનું સંતુલન
આ સમીટમાં ગીર વિસ્તારમાં સિંહોના વધતા વિચરણ અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ પર પણ ચર્ચા થઈ છે. ખાસ કરીને રેસ્ક્યૂ ટીમોની કામગીરી, ઝડપી પ્રતિસાદ અને સંવેદનશીલ વિસ્તારોમાં મોનિટરિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો રજૂ કરવામાં આવ્યા છે.
સ્થાનિક માલધારી સમુદાયનું યોગદાન પણ આ સમીટમાં વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યું છે. ગીર વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ અને તેમના પશુધન માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વળતર નીતિઓને પણ પ્રશંસા મળી છે. આ સહઅસ્તિત્વનો મોડેલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
આ પણ વાંચો: ઓમાનના દરિયામાં સલાયાનું વધુ એક જહાજ ડૂબ્યું : ‘હાજી અલી’માં સવાર 14 ખલાસીઓ બચ્યા

ભારતનું વૈશ્વિક નેતૃત્વ
ઈન્ટરનેશનલ બિગ કેટ સમીટ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ભારતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ભારત પહેલેથી જ વાઘ અને સિંહોના સંરક્ષણમાં વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે અને હવે અન્ય બિગ કેટ પ્રજાતિઓ માટે પણ સમાન પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોમાં પણ આવા પ્રયાસો ચાલુ છે. મધ્યપ્રદેશમાં ચિત્તા પુનઃસ્થાપન પ્રોજેક્ટ, મહારાષ્ટ્રમાં વાઘ સંરક્ષણ અને સિક્કિમમાં સ્નો લેપર્ડ સંરક્ષણ માટે વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ તમામ પહેલો ભારતના સમૃદ્ધ જૈવ વૈવિધ્યતાના જતન માટેની દૃઢ ઇચ્છાશક્તિ દર્શાવે છે.





