mamlatdar D D Pandya Case : સાંતલપુરના મામલતદાર ડી ડી પંડ્યાએ ગંભીર ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તેઓ પોતાના ગામ થરાદના વજગેઢ વિસ્તારમાં હતા ત્યારે આ ઘટના બની હતી. હાલ તેમને તાત્કાલિક પાલનપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ પર ડૉક્ટરો નજર રાખી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મામલતદાર ડી.ડી. પંડ્યાએ આ પગલું ભરતાં પહેલાં એક વીડિયો અને સુસાઈડ નોટ તૈયાર કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેઓ લાંબા સમયથી ધમકી અને બ્લેકમેઈલિંગથી માનસિક ત્રાસ ભોગવી રહ્યા હતા.
લોકોની એક ગેંગ માનસિક ત્રાસ આપે!
મામલતદારે બનાવેલા વીડિયોમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે છ લોકોની એક ગેંગ દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આરોપ છે કે ફોટા બતાવી તેમની પાસેથી રૂ. 20 લાખની માંગ કરવામાં આવી હતી. સુસાઈડ નોટમાં પણ તેમના ભાણેજ સહિત કુલ છ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
યુવતી સાથે ખોટા ફોટા બનાવી તેમને બદનામ કરવાનો પ્રયાસ
સુસાઈડ નોટ મુજબ, આ છ લોકો દ્વારા યોજના ઘડીને તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા હતા. તેમાં ACBમાં ખોટી ફરિયાદ કરવી, યુવતી સાથે ખોટા ફોટા બનાવી તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવો તેમજ સતત હેરાનગતિ કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ તમામ કારણોથી તેઓ ભારે માનસિક તણાવમાં હતા અને અંતે આ કડવું પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું નોંધાયું છે. પોલીસ દ્વારા વીડિયોમાં કરાયેલા આક્ષેપો અને સુસાઈડ નોટના આધારે તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી છે. મામલતદારના નિવેદન અને પુરાવાના આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે.
'મારા ભાણેજ કિશન 4 વર્ષથી હેરાન કરે છે'
જે વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, 'મારું નામ દિનેશભાઈ તુજાજી પંડ્યા છે. આજ રોજ હું આ છેલ્લો વીડિયો બનાવી રહ્યો છું. મારા વિરુદ્ધમાં મારા ભાણેજ કિશન બેચરભાઈ પંડ્યા. છેલ્લા 4 વર્ષથી પાછળ પડ્યા છે. તેણે મારા વિરુદ્ધમાં 8થી 10 અરજીઓ કરી છે. જે તપાસ કરાવતા-કરાવતા હું પોતે થાકી ગયો છું. તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે. આજે મને બપોરે મારા ગામના અશારામ શંકરભાઈ વાઘેલા, જે મામલતદાર કચેરીમાં ક્લાર્ક છે, તેઓનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, ભાભર ગામના ચાર રસ્તા વાવ અરૂણ આચાર્યની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ચલાવતા ભાભર ગામના તુલસી ગોહિલ અને અનિલ ગોહિલે મને બોલાવી, તમારા ફોટા એમના પાસે છે અને તમને બોલાવે છે, તમે એમની પાસે સમાધાન કરી લો. જે બાદ મને હકીકત જાણવા મળી કે, દરજી માનસિંગભાઈ ગોવાભાઈ તેમની દીકરી સોનલબેન અનિલભાઈ પ્રજાપતિ અને આશારામભાઈ મહારાજ, જેવો પણ આ વાતમાં સામેલ છે. આ બધાએ કિશન બેચરભાઈ પંડ્યાની સૂચનાથી કામ કર્યું હોય તેવી મને શંકા જાય છે'
'... નહિતર તમારા ફોટા વાયરલ કરી દઈશ'
વધુમાં જણાવે છે કે 'મને જાણવા મળ્યું છે કે, જેનો પણ ફોટો મને મળ્યો છે. એ ફોટાવાળાની સાથે મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે. એણે પણ કહ્યું કે, અમારી પાસે પણ ખોટી ખોટી માંગણીઓ થઈ રહી છે. એ ગરીબ માણસ છે. સાંજે 6:15 વાગ્યે મારા ઉપર કિરણભાઈ નામના વ્યક્તિ કે જેના મોબાઈલ નંબર છેલ્લે 112 છે. તેનો ફોન આવ્યો અને કહ્યું કે, તમારા ફોટાનું શું થયું છે? અને તમે 20 લાખ રૂપિયા લઈ મારી પાસે આવી જાવ, નહિતર તમારા ફોટા વાયરલ કરી દઈશ અને તમને જીવવા નહી દઉં'. 'આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જે. જે. જમાદારને ફોન કર્યો હતો. જેઓ દૂધગામ રજા ઉપર હતા. મારી પાસેથી નંબર લીધા અને એને ફોન કર્યો હતો જોકે, તેણે ફોન ઉપાડ્યો નહીં. એ ભાઈના મને 4 વખત વોટ્સએપ કોલ આવ્યાં હતા. તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા હતા. આની પાછળ આખી મોટી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે'
'હું મારા ભાણેજથી કંટાળી ગયો'
તેમણે કહ્યું કે 'હું મારા ભાણેજથી કંટાળી ગયો હતો. મારા વિશે મારા ભાણેજે વારંવાર વીડિયો બહાર પાડ્યાં છે જે મારા દીકરાઓ પાસે છે. તુલસી અનિલ, અનિલ પ્રજાપતિ, માનસિંગ ગોવાભાઈ દરજી, એની દીકરી સોનલ અને આશારામભાઈ મહારાજ જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે, આ બધાએ કાવતરું કરી અને ત્રાસ આપ્યો છે. હું માનસિક રીતે હવે કંટાળેલો હોઈ હવે મારી કોઈ જીવવાની આશા ન હોઈ આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો'





















