Ahmedabad Subhash Bridge : અમદાવાદ શહેરના મહત્વપૂર્ણ પુલોમાંનો એક સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. બ્રિજના કેટલાક સ્પાન બેસી જવાના કારણે સલામતીને ધ્યાનમાં રાખીને તેને તોડી નવો અને વધુ મજબૂત બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે 235 કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. હાલ બ્રિજ તોડવા અને નવા બ્રિજ માટે જરૂરી પ્રાથમિક કામગીરી શરૂ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજના ડિમોલિશન માટેનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. નદી ખાલી હોવાનો સીધો ફાયદો એ થશે કે બ્રિજનો તોડેલો ભાગ સરળતાથી નદીમાં પાડી શકાશે અને કામગીરી ઝડપથી પૂર્ણ થશે. 1 એપ્રિલથી 15 જૂન સુધીના અઢી મહિનાના ગાળામાં બ્રિજના તમામ ઉપરના સ્ટ્રક્ચરને તોડી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કામગીરી જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરી નવા બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવાની કોર્પોરેશનની ગણતરી છે.
અઢી મહિનામાં તોડાશે બ્રિજનો ઉપરનો ભાગ
માહિતી અનુસાર સુભાષ બ્રિજના જૂના સ્ટ્રક્ચરને તોડવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. ખાસ કરીને બ્રિજના મધ્ય ભાગમાં આવેલા લગભગ 6 સ્પાનને તોડી નવો બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ડિમોલિશન માટે ખાસ ટેક્નિકલ મેથડ પણ તૈયાર કરવામાં આવી રહી છે, કારણ કે આ બ્રિજ વર્ષો જૂનો છે અને ખાસ ડિઝાઇનથી બનાવવામાં આવ્યો હતો. તેથી કયા ભાગને કેવી રીતે તોડવો તેની વિગતવાર યોજના બનાવવામાં આવી છે.

સુભાષ બ્રિજનું નવનિર્માણ: રૂ. 235 કરોડનો પ્રોજેક્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ સુભાષ બ્રિજને તોડીને નવો અને પહોળો બનાવવા માટે 235 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી દીધી છે. હાલમાં કલેક્ટર ઓફિસ તરફના છેડા પર સોઇલ ટેસ્ટિંગ (જમીન તપાસ) ની કામગીરી ચાલી રહી છે. નવા પાયા કેટલા ઊંડા રાખવા અને બ્રિજનો લોડ કેટલો હશે તે નક્કી કરવા માટે એન્જિનિયરો દ્વારા જમીનની માપણી શરૂ કરી દેવામાં આવી છે.
નદી કેમ ખાલી કરાશે? વાસણા બેરેજનું સમારકામ
સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, 'ડેમ સેફ્ટી' (Dam Safety) અંતર્ગત કરવામાં આવેલા ઇન્સ્પેક્શનમાં વાસણા બેરેજની સુરક્ષા સુનિશ્ચિત કરવી અનિવાર્ય બની છે. બેરેજના કુલ 30 ગેટમાંથી 18 ગેટ નવા નાખવામાં આવશે અને બાકીના ગેટ્સનું સમારકામ કરવામાં આવશે. આ કામગીરી માટે વાસણા બેરેજ ખાલી કરવો જરૂરી હોવાથી 1 એપ્રિલથી સાબરમતી નદીનું પાણી ખાલી કરી દેવામાં આવશે. આ સમયગાળાનો ઉપયોગ સુભાષ બ્રિજના ડિમોલિશન માટે પણ કરવામાં આવશે.
ડિમોલિશન માટેની ખાસ મેથડ
સુભાષ બ્રિજ બેલેન્સ કેન્ટી લીવર પદ્ધતિથી બનેલો હોવાથી તેને તોડવા માટે ખાસ સાવચેતી રાખવી પડશે. આ માટે SVNIT સુરત અથવા આઇઆઇટી (IIT) ના નિષ્ણાતો પાસે ડિમોલિશન ડિઝાઇન તૈયાર કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. બ્રિજના કુલ 6 સ્પાન તોડવાના છે, જેની કામગીરી નદીમાં પાણી ન હોવાના કારણે માત્ર ત્રણ મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે,નવો બ્રિજ બનાવવા માટે જમીનની ક્ષમતા તપાસવા માટે સોઇલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં નવા પાયા કેટલા ઊંડા બનાવવા પડશે, બ્રિજ પર કેટલો ભાર રહેશે અને સ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર કરવું તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો લક્ષ્ય છે કે નવો સુભાષ બ્રિજ જાન્યુઆરી 2027 સુધીમાં તૈયાર થઈ જાય.





















