સાબરમતી રેલવે સ્ટેશન હવે અમદાવાદ માટે એક નવું અને આધુનિક રેલવે ગેટવે બની ગયું છે. સ્ટેશનને સંપૂર્ણપણે નવેસરથી વિકસાવવામાં આવ્યું છે, જેમાં આધુનિક ડિઝાઇન, સુવ્યવસ્થિત ટ્રાફિક મેનેજમેન્ટ અને મુસાફરોની સુવિધાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે દિલ્હી અને ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનો સાબરમતી રેલવે સ્ટેશન પરથી જ ઉપડે છે અને અહીં જ પહોંચે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારત તરફ જતી ઘણી ટ્રેનો હવે આ સ્ટેશન પરથી જ ઊભી રહે છે અને અહીંથી જ તેમની મુસાફરી શરૂ કરે છે, જેના કારણે સાબરમતીનું મહત્વ વધુ વધ્યું છે.
પ્રવેશ કરતા જ ડાબી બાજુએ ટિકિટ કાઉન્ટર રાખવામાં આવ્યું
નવાં સાબરમતી રેલવે સ્ટેશનનો એન્ટ્રી ગેટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એન્ટ્રી અને એક્ઝિટ વિસ્તારની બાજુમાં બનાવવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં પણ મુસાફરોને સરળતા મળે. એન્ટ્રી ગેટની બાજુમાં જ ટેક્સી અને ઓટો માટે ખાસ પિક-અપ અને ડ્રોપ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય અને મુસાફરોને સરળ આવન-જાવન મળે. સ્ટેશનમાં પ્રવેશ કરતા જ ડાબી બાજુએ ટિકિટ કાઉન્ટર રાખવામાં આવ્યું છે, જે મુસાફરો માટે ખૂબ જ સુવિધાજનક છે.
ચાર્જિંગ પોઇન્ટ પણ આપવામાં આવ્યા
સ્ટેશનની અંદર લિફ્ટના ઉપરના ભાગે મોટી સાઇઝની LED સ્ક્રીન લગાવવામાં આવી છે, જેમાં ટ્રેન નંબર, ટ્રેનનું નામ, ટ્રેનના આવન-જાવનનો સમય અને પ્લેટફોર્મની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે. આથી મુસાફરોને જરૂરી માહિતી એક નજરે મળી જાય છે. સ્ટેશનના પ્રથમ માળ પર વિશાળ વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં મુસાફરો આરામથી રાહ જોઈ શકે છે. જ્યારે બીજા માળના વેઇટિંગ એરિયામાં થોડા-થોડા અંતરે ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે, જેથી મુસાફરો પોતાના મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સરળતાથી ચાર્જ કરી શકે. આ તમામ આધુનિક સુવિધાઓ અને સુવ્યવસ્થિત આયોજનને કારણે સાબરમતી રેલવે સ્ટેશન હવે માત્ર એક સ્ટેશન નહીં પરંતુ અમદાવાદનું એક મહત્વપૂર્ણ અને આધુનિક પરિવહન કેન્દ્ર બની ગયું છે




















