મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આ બેઠકમાં DyCM અને કાઉન્સિલના વાઈસ ચેરમેન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રેરણાથી સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણનું કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. બેઠક દરમિયાન આશ્રમમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન આઈ.પી. ગૌતમે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપતાં જણાવ્યું કે પ્રોજેક્ટ અંતર્ગત 28 મકાનોના રિસ્ટોરેશનનું આયોજન છે, જેમાંથી 22 મકાનોનું કામ પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલ કાર્ય માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા આપતાં અત્યાર સુધીમાં આશરે 98 હજારથી વધુ ઝાડ-છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. માર્ચ 2026 સુધીમાં વધુ 16 હજાર છોડના પ્લાન્ટેશનનું આયોજન છે.
આ બેઠકમાં બાપુના શ્રમદાનના વિચારને આશ્રમની પ્રવૃત્તિઓ સાથે જોડીને ખાસ કરીને યુવાઓને સેવા પ્રવૃત્તિઓમાં જોડવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.



















