અમેરિકી USAID અંગે ભારતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે હવે તેનો જવાબ આપ્યો છે. ટ્રમ્પ અને અમેરિકી વહિવટીતંત્રએ દાવો કર્યો હતો કે ભારતમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે લાખો ડોલર મોકલવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મુદ્દે ટ્વીટ કર્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે દિલ્લીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ટ્રમ્પ વહિવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી દેખીતી રીતે ચિંતાજનક છે. કેન્દ્ર સરકાર આ મામલાની તપાસ કરી રહી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ચિંતા વ્યક્ત કરી
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે USAIDને ભારતમાં સારા ઇરાદાથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે અમેરિકા તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે કેટલીક પ્રવૃત્તિઓ દુર્ભાવનાપૂર્ણ જોવા મળી. તેમણે કહ્યું, "તે ચિંતાજનક છે અને જો તેમાં કંઈ છે, તો દેશને ખબર હોવી જોઈએ કે તેમાં કોણ સામેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે અમેરિકાના ફંડનો ઉપયોગ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
USAIDના ફંડની તપાસ ચાલુ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે USAID સંબંધિત યુએસ વહિવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીની સંબંધિત વિભાગો અને એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમે USAIDની કેટલીક પ્રવૃત્તિઓ અને ભંડોળ વિષયે US વહિવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી જોઈ છે. દેખીતી રીતે તેઓ ખૂબ જ હેરાન છે. આનાથી ભારતની આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપ અંગે ચિંતા વધી છે. સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે.





