રાજકોટમાં વડાલીયા ફૂડ્સના માલિક અને તેમના પરિવાર સાથે મોટી કરોડોની છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી આરોપીઓએ ત્રણ પેઢીમાં રોકાણ કરાવવાના બહાને 10.99 કરોડની ઠગાઈ આચર્યાનો આરોપ છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે વિજય માકડીયા અને અમિત ભાણવડીયાના નામ આરોપ છે.
ફરિયાદ મુજબ, આરોપીઓએ વડાલીયા ફૂડ્સના માલિક દર્શનભાઇ વડાલીયા અને તેમના પરિવારને પોતાની ત્રણ પેઢીઓમાં રોકાણ કરશો તો ઊંચું અને નિશ્ચિત વળતર મળશે તેવી ખાતરી આપી હતી. આ વિશ્વાસ પર ફરિયાદી પક્ષે તબક્કાવાર રૂ. 6.90 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, સમય પસાર થયા બાદ વળતર તો દૂર, મૂળ રકમ પણ પરત ન આપતા મામલો ગંભીર બન્યો હતો.
આરોપીઓએ વળતર સહિત કુલ રૂ. 10.99 કરોડ પરત આપવાની જવાબદારી હોવા છતાં રકમ ચૂકવવાનું ટાળ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લાંબા સમય સુધી ટાળટૂળ કર્યા બાદ અંતે દર્શનભાઇ વડાલીયાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહત્વના પુરાવા અને નાણાકીય લેવડદેવડના દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા. કાર્યવાહી દરમ્યાન પોલીસએ મુખ્ય આરોપી અમિત ભાણવડીયાને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે.





















