આધુનિક યુગમાં લોકો ગામ છોડી શહેરો તરફ વળ્યા છે. શહેરીકરણ સતત વધતા હવે ખેતી લાયક જમીન ઘટી રહી છે. આ સ્થિતિમાં પણ જો તમારે જમીન વગર ખેતી કરી ઓર્ગેનિક શાકભાજી અને ફળનો સ્વાદ માણવો હોય તો સરકારની એક યોજના ખાસ તમારા માટે છે. જેમાં માત્ર નજીવું ખર્ચ કરી મોટું વળતર મેળવી શકો છો. એટલે જ નહીં પણ આ ખેતી માટે 75 ટકા તો સરકાર સબસિડી પણ આપે છે.
તમારી છત પર જ થશે ખેતી
જો તમે પણ શહેરમાં રહીને ગાર્ડનિંગ કરવાનો શોખ ધરાવો છો. તો આ સ્કીમ ખાસ તમારા માટે છે. જેનું નામ છે રૂફટોપ ગાર્ડનિંગ યોજના..આ યોજના હેઠળ સરકાર લોકોને તેમના ધાબા પર ઓર્ગેનિક ફળો અને શાકભાજી ઉગાડવા માટે સબસિડી આપે છે.રૂફટોપ ગાર્ડનિંગ સ્કીમ હેઠળ સરકાર શહેરોના ઘરોમાં શાકભાજી, ફળો, ફૂલો વગેરેના બગીચાને પ્રોત્સાહન આપવા માંગે છે. સરકાર તેને બે કેટેગરીમાં ચલાવી રહી છે. પ્રથમ પોટ સ્કીમ અને બીજી ફાર્મિંગ બેડ સ્કીમ છે.
ધાબા ખેતીમાં કેટલી મળશે સબસિડી?
સૌથી પહેલાં ફાર્મિંગ બેડની વાત કરીએ તો આનો લાભ લેવા માટે તમારી પાસે ઘર અથવા એપાર્ટમેન્ટની છત પર 300 ચોરસ ફૂટ ખાલી જગ્યા હોવા જોઈએ. જેમાં ધાબા ખેતી કરવાથી સરકાર 75 ટકા સબસિડી એટલે કે 36,430 પ્રતિ યુનિટ સહાય આપે છે. 300 ચોરસ ફૂટમાંં ફાર્મિંગ બેડનો ખર્ચ 48,574 હજારનો થાય છે. જેથી તમારે સબસિડીનો લાભ લઈ માત્ર 12,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જ્યારે બીજી સ્કીમ પોટની વાત કરીએ તો આમા લાભાર્થીને ટેરેસ પર ફળો અને શાકભાજી ઉગાડવા માટે 75 ટકા સબસિડી મળશે. જેમાં સરકાર 8,975 રૂપિયાની યુનિટ કોસ્ટ પર 6,731 રૂપિયાની સબસિડી આપે છે. એટલે કે લાભાર્થીએ માત્ર 2,200 રૂપિયા ખર્ચવા પડશે.
આવી રીતે કરો તમારી છત પર ખેતી?
હવે તમને સવાલ થતો હશે કે ધાબા પર કેવી રીતે ખેતી કરવી, તેમાં શું ઉગાડવું. તો તમને જણાવી દઈએ કે તમે તમારી છત પર રીંગણ, મરચાં, કોબી, ગાજર, મૂળો, ભીંડા, પાંદડાવાળા શાકભાજી અને કોળું વગેરેની ખેતી કરી શકો છો. આ ઉપરાંત ફળોમાં જામફળ, લીંબુ, પપૈયું, કેરી, દાડમ અને અંજીરની ખેતી કરી શકો છો. જ્યારે ઔષધીય વનસ્પતિઓમાં એલોવેરા, કરીના પાંદડા, વસાકા, લેમન ગ્રાસ અને અશ્વગંધાની ખેતી થઈ શકે છે.
કેવી રીતે મળશે યોજનાનો લાભ?
હાલ બિહાર સરકાર ખાસ આ યોજનાને ચલાવી રહી છે . જેનો લાભ લેવા માટે તમે વેબસાઈટની વિઝીટ કરી શકો છો. જેના પર horticulture.bihar.gov.in વેબસાઈટ રૂફટોપ ગાર્ડનિંગ સ્કીમ પર જઈને રજિસ્ટ્રેશન કરી લાભ લઈ શકો છો.વધુ માહિતી માટે તમારા જિલ્લાની કૃષિ અથવા બાગાયત વિભાગની કચેરીનો પણ સંપર્ક કરી શકો છો.





















