Rohit Sharma retirement revelation: ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાં ગણાતા રોહિત શર્માએ પોતાના કરિયરના સૌથી કઠિન સમય વિશે પ્રથમ વખત ખુલાસો કર્યો છે. 2023ના ODI વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ તેઓ અંદરથી પૂરેપૂરા તૂટી ગયા હતા અને ક્રિકેટ છોડવાનો પણ વિચાર કરી લીધો હતો. માસ્ટર્સ યુનિયન દ્વારા ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં રોહિતે કહ્યું, “ફાઈનલની હાર બાદ મને લાગ્યું કે ક્રિકેટે મારી પાસેથી બધું જ લઈ લીધું છે. મારી અંદર કોઈ ઊર્જા જ બચી નહોતી. હું આ રમતને આગળ રમવા માંગતો નહોતો. એક સમયે તો રિટાયરમેન્ટ લઈ લેવાનો પણ વિચાર આવી ગયો હતો.”
"ક્રિકેટ મારો સૌથી મોટો પ્રેમ છે"
ભારતે તે વર્લ્ડ કપમાં લગાતાર 9 મેચ જીતીને ફાઈનલ સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રેવિસ હેડની શાનદાર સદીએ ભારતનું સપનું તોડી નાખ્યું. રોહિતે કહ્યું, “કેપ્ટન તરીકે મારે આ હાર બીજા કરતાં વધુ ભારે પડી. 2022માં કેપ્ટન બન્યા બાદથી હું આ વર્લ્ડ કપ માટે જ પોતાને સમર્પિત કરી દીધું હતું. જ્યારે લક્ષ્ય પૂરું ન થયું તો દરેક વ્યક્તિ ખૂબ નિરાશ થઈ ગયો હતો. અમને ખબર જ નહોતી પડી કે આખરે શું થયું.” આ હારને પચાવવા માટે રોહિતને અનેક મહિનાઓ લાગ્યા. તેઓ કહે છે, “મેં પોતાને વારંવાર યાદ અપાવ્યું કે ક્રિકેટ જ મારો સૌથી મોટો પ્રેમ છે અને તેને આટલી સરળતાથી છોડી ન શકાય. ધીમે ધીમે મેં પોતાને સંભાળ્યો, ફરી પ્રેક્ટિસ શરૂ કરી અને મેદાન પર પાછા ફરવાની હિંમત જોડી.”
"T-20 વર્લ્ડ કપ જીતીને મળ્યું શુકુન"
આ ઘટના રોહિત માટે એક મોટું પાઠ બની ગઈ. તેઓ કહે છે, “આજે પાછળ જોઈને બધું સરળ લાગે છે, પરંતુ તે સમયે ખૂબ જ મુશ્કેલ હતું. નિરાશાથી કેવી રીતે બહાર આવવું, પોતાને કેવી રીતે રિસેટ કરવું અને આગળ કેવી રીતે વધવું – આ બધું મેં શીખ્યું.” આ ઘટનાના લગભગ એક વર્ષ પછી 2024ના T20 વર્લ્ડ કપમાં રોહિતે ભારતને ચેમ્પિયન બનાવ્યું. આ જીતે તેમના જૂના ઘા પર મલમ લગાવી દીધી. પરંતુ તેમણે કહ્યું, “આ જીતથી સુકૂન મળ્યો, પરંતુ 2023ની નિરાશા ભૂલાઈ નથી. તે દિવસો ખરેખર ખૂબ કઠિન હતા.” હાલમાં રોહિતે T20 અને ટેસ્ટ ક્રિકેટ તેમજ ODI કેપ્ટનશિપ છોડી દીધી છે, પરંતુ તેઓ હજુ ODI રમી રહ્યા છે. તેમનું ધ્યેય 2027ના ODI વર્લ્ડ કપમાં ભાગ લેવાનું અને કરિયરનો શાનદાર અંત કરવાનું છે.





















