ભારતભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે 1950માં આ દિવસે દેશમાં સત્તાવાર રીતે બંધારણનો અમલ શરૂ થયો હતો. પરંતુ ઘણા ઓછા લોકો એ વાતથી વાકેફ હશે કે ગણતંત્ર દિવસ માટે માત્ર 26 જાન્યુઆરીની જ પસંદગી કરવા પાછળ એક મજબૂત ઐતિહાસિક કારણ છુપાયેલું છે. આ તારીખ ભારતની આઝાદીના સંગ્રામમાં એક વિશેષ સ્થાન ધરાવે છે જેનો સંબંધ દેશના સાર્વભૌમત્વ અને આત્મસન્માન સાથે છે.
2026માં ભારતમાં 77મો પ્રજાસત્તાક દિવસ
વર્ષ 2026માં ભારત પોતાનો 77મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા દેશના સંવિધાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો જેને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. જોકે તેના અમલ માટે બે મહિના રાહ જોવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકતંત્રના પાયા સમાન બંધારણના મહત્વને જાળવી રાખવાનો અને તેના ઘડવૈયાઓને આદર આપવાનો છે.
26 જાન્યુઆરીની પસંદગી પાછળનું ઐતિહાસિક રહસ્ય
પ્રજાસત્તાક દિવસ માટે આ તારીખ પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ વર્ષ 1930માં બનેલી ઘટના છે. લાહોરમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં આ દિવસે જ પ્રથમ વખત પૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી હતી. ડો. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં લગભગ 3 વર્ષના અથાગ પરિશ્રમ બાદ તૈયાર થયેલું આ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ સાથે જ Government of India Act 1935નો અંત આવ્યો અને ભારતમાં સ્વતંત્રતા તેમજ સમાનતાના નવા યુગની શરૂઆત થઈ હતી.
દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય ઉજવણી
દેશની રાજધાનીમાં આવેલા ઐતિહાસિક કર્તવ્ય પથ પર દર વર્ષે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડને વિશ્વની સૌથી મોટી સૈન્ય પરેડમાંની એક ગણવામાં આવે છે જેમાં સૈન્ય શક્તિ અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ થાય છે. આ પર્વનું વિધિવત સમાપન 29 જાન્યુઆરીએ બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમ સાથે કરવામાં આવે છે. આ દિવસ ભારતને એક લોકતાંત્રિક અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર ગૌરવ અપાવે છે.





















