Surat Demolition Action : સુરત શહેરમાં રસ્તાઓ પર વધતા દબાણો અને ગેરકાયદેસર વસવાટને દૂર કરવા માટે આજે ‘દબાણ હટાવો’ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં ઊભી થતી સમસ્યાઓ અંગે ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા લખાયેલા પત્ર બાદ સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વ્યક્તિગત રીતે મેદાનમાં ઉતરી સમગ્ર સ્થિતિની મુલાકાત લીધી હતી.
મેયર અને કમિશનર 'મેદાને'!
મેયર અને પોલીસ કમિશનરે SMC અને પોલીસ ટીમ સાથે વરાછાથી સરથાણા સુધી રોચક વિઝિટ કરી હતા. આ દરમિયાન બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરનારાઓને હટાવવામાં આવ્યા. શહેરના રસ્તાઓ પર લારી, પાથરણાવાળા તેમજ અન્ય દબાણોના કારણે ટ્રાફિકમાં પડતી અડચણો દૂર કરવા મેયરે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી.
દબાણો દૂર કરવાની સ્પષ્ટ સૂચના
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ ટ્રાફિકમાં નડતરરૂપ કોઈપણ પ્રકારના દબાણો દૂર કરવાની સ્પષ્ટ સૂચના આપી અને ખોટી રીતે રસ્તો રોકીને દબાણો કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. મ્યુનિસિપલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમોને સતત કાર્યવાહી કરીને દબાણો દૂર રાખવા સખત સૂચના આપવામાં આવી છે. આ ઝુંબેશના કારણે વરાછા–સરથાણા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





















