દેશની રાજધાની દિલ્હીમાં વરિષ્ઠ ભાજપ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના બંગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બુધવારે 14 જાન્યુઆરીની વહેલી સવારે દિલ્હી ફાયર સર્વિસને આ દુર્ઘટના અંગેની જાણકારી મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને સમયસર કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી છે.
સવારે 8:05 વાગ્યે મળી હતી સૂચના
ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ લાગી હોવાનો કોલ સવારે અંદાજે 8:05 વાગ્યે મળ્યો હતો. સૂચના મળતાની સાથે જ દિલ્હી ફાયર સર્વિસની 3 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી. અગ્નિશમન દળના જવાનોએ ભારે જહેમત બાદ સવારે 8:30 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો.
બેડમાં લાગી હતી આગ
ફાયર ઓફિસર દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સાંસદના ઘરના એક રૂમમાં રહેલા બેડમાં આગ લાગી હતી. આગના કારણે રૂમમાં ધુમાડાના ગોટા ફેલાઈ ગયા હતા. જોકે, આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ બહાર આવશે.
તપાસ ચાલુ છે
હાલમાં ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે. રૂમમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા માટે નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રવિશંકર પ્રસાદના પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગી ત્યારે ઘરમાં હાજર લોકોએ સતર્કતા દાખવી ફાયર વિભાગને જાણ કરતા મોટી દુર્ઘટના ટળી હતી.





















