Ram Mandir Donation Theft Case: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાંથી દાનપેટીના નાણાં અને કિંમતી આભૂષણોની કથિત ચોરીનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કેસમાં રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે તપાસ એજન્સીઓ હવે વધુ લોકો સુધી પહોંચવા માટે અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં કેટલાક નવા નામો સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં કેટલાક બેંક કર્મચારીઓની સંભવિત ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. આ વચ્ચે અનુકલ્પ મિશ્રાની ભૂમિકા માત્ર સહયોગી નહીં પરંતુ સમગ્ર કથિત કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવી રહી હોવાનું તપાસ સાથે જોડાયેલા સૂત્રો જણાવી રહ્યા છે.
અનુકલ્પ મિશ્રાની ભૂમિકાને લઈને તપાસમાં નવા વળાંક
રામ મંદિર દાન ચોરી કેસમાં અત્યાર સુધી થયેલી તપાસમાં અનુકલ્પ મિશ્રા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, તપાસ એજન્સીઓને એવા કેટલાક પુરાવા મળ્યા છે જેના આધારે તેઓ આ સમગ્ર મામલામાં મુખ્ય આયોજનકારોમાંથી એક હોઈ શકે છે.પોલીસ ટીમો હાલમાં વિવિધ સ્થળોએ તપાસ ચલાવી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ધરપકડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ રવિવારે પણ કેટલાક નવા આરોપીઓની ધરપકડ થઈ શકે છે.
ચંપત રાય સામેના આરોપો અને સમર્થકોની ભાવુક પ્રતિક્રિયા
આ કેસમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું નામ ચર્ચામાં આવતા તેમના સમર્થકો અને શિષ્યોમાં ભારે ભાવનાત્મક પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એસઆઈટીની અંતિમ રિપોર્ટ આવ્યા બાદ ચંપત રાય મીડિયા સમક્ષ આવી સમગ્ર મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. ચંપત રાયના નજીકના અનુયાયી નરેશ ચૌહાણે મીડિયા સાથે વાતચીત દરમિયાન ભાવુક થઈને કહ્યું હતું કે, "દેશના કોઈપણ શંકરાચાર્ય પર આરોપ લાગી શકે, પરંતુ ચંપત રાય પર વિશ્વાસઘાતનો પ્રશ્ન જ ઊભો થતો નથી." તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ચંપત રાયને લઈને સમાજના એક વર્ગમાં હજુ પણ વિશ્વાસ યથાવત છે.
અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેમાં રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. ટિન્નુ યાદવ અગાઉ ચંપત રાયના ડ્રાઈવર તરીકે પણ કાર્યરત હતા અને તેમના નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા. આ ઉપરાંત અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, લવકુશ મિશ્રા, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને મનીષ કુમાર યાદવ સામે પણ એફઆઈઆર નોંધાઈ છે. આ ફરિયાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહન દ્વારા શ્રી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
ટ્રસ્ટના સભ્યોની સંખ્યામાં થયો ઘટાડો
રામ મંદિર દાન ચોરીના વિવાદ બાદ ચંપત રાય અને ડૉ. અનિલ મિશ્રાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે. જેના કારણે ટ્રસ્ટના સભ્યોની સંખ્યા ઘટીને હાલમાં 12 થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. ફેબ્રુઆરી 2025માં ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલના અવસાન બાદ કૃષ્ણમોહનને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે અયોધ્યાના રાજપરિવારના વંશજ વિમલેન્દ્ર મોહન પ્રતિાપ મિશ્રાના અવસાન બાદ ખાલી પડેલું સ્થાન હજુ સુધી ભરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ખુલાસો : SIT તપાસમાં 8ની ધરપકડ; CCTVથી ખુલ્યા ચોંકાવનારા તથ્યો
શું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ?
5 ફેબ્રુઆરી 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી હતી. રામ મંદિરના નિર્માણ, સંચાલન અને દાન વ્યવસ્થાપન માટે રચાયેલા આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્યોનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટમાં દેશના અગ્રણી સંતો, વરિષ્ઠ કાનૂની નિષ્ણાતો, વહીવટી અધિકારીઓ અને રામ મંદિર આંદોલન સાથે વર્ષોથી જોડાયેલા અગ્રણીઓ સામેલ છે. તેમાં કે. પરાસરન, મહંત નૃત્ય ગોપાલ દાસ, સ્વામી ગોવિંદ દેવ ગિરી, ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા, કૃષ્ણમોહન અને નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા જેવા નામો સામેલ છે.
SIT રિપોર્ટ પર સૌની નજર
હાલ સમગ્ર મામલે વિશેષ તપાસ ટીમ (SIT)ની અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ રિપોર્ટ બાદ કેસમાં વધુ ધરપકડ, નવા ખુલાસા અને ટ્રસ્ટની આંતરિક કામગીરીને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. રામ મંદિર કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવી સ્થિતિમાં દાન અને ચઢાવા સાથે જોડાયેલા આક્ષેપોએ માત્ર ટ્રસ્ટ જ નહીં પરંતુ સમગ્ર ધાર્મિક વ્યવસ્થાપન અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તપાસ એજન્સીઓની આગામી કાર્યવાહી પર દેશભરની નજર ટકેલી છે.






