Home Gujarat Vadodara Rajkot Sandhiya Bridge Opening Jamnagar Road Traffic Relief

દરરોજની ટ્રાફિકની પીડાનો આવશે અંત : આખરે ખુલશે સાંઢીયા બ્રિજ, હજારો વાહનચાલકોને મળશે રાહત

સાંઢીયા બ્રિજ અને મેયર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય પદાધિકારીઓની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 11, 2026, 08:47 AM IST

રાજકોટ શહેર અને જામનગર તરફ અવરજવર કરતા હજારો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં રહેલો અને 74 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલો નવનિર્મિત સાંઢીયા બ્રિજ હવે આખરે જનતા માટે ખુલ્લો મુકાવાની તૈયારીમાં છે. શનિવાર સુધીમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બપોર સુધીમાં તેના ઉદ્ઘાટનની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવે તેવી માહિતી પણ સામે આવી છે.

રાજકોટથી જામનગર અને જામનગરથી રાજકોટ તરફ આવતા-જતા વાહનચાલકો છેલ્લા બે વર્ષથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. બ્રિજના નિર્માણ કાર્યને કારણે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગીચ વિસ્તારોમાં સતત ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હતી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન લોકોને કલાકો સુધી વાહનોમાં અટવાઈ રહેવું પડતું હતું.

આ પણ વાંચો: સામે આવ્યાં માથાભારે મહાવીરસિંહના મોતના CCTV : અમદાવાદના બોપલમાં પોલીસથી બચવા જતા ચોથા માળેથી પટકાતાં થયું હતું કુખ્યાત આરોપીનું મોત

મેયર અને કમિશનરનું નિરીક્ષણ

બ્રિજ ખુલ્લો મુકતા પહેલા રાજકોટ મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય પદાધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગત 29 મેના રોજ પણ મેયર સહિતના આગેવાનો દ્વારા બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી.

તે સમયે બ્રિજમાં કેટલીક ટેક્નિકલ અને ગુણવત્તા સંબંધિત ત્રુટીઓ ધ્યાનમાં આવી હતી. આ મુદ્દે મેયર અને પદાધિકારીઓએ સંબંધિત અધિકારીઓની કડક ઝાટકણી કાઢી હતી અને ખામીઓ તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ એજન્સી અને અધિકારીઓ દ્વારા જરૂરી સુધારાકામ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 'મેક ઈન ઈન્ડિયા'ને મળી નવી પાંખો : વડોદરામાં બનેલા પ્રથમ C295 વિમાને સફળ ઊડાન ભરી, સંરક્ષણ ક્ષેત્રે ભારતે રચ્યો ઈતિહાસ

ટ્રાફિક સમસ્યામાં મળશે મોટી રાહત

સાંઢીયા બ્રિજ શરૂ થતાં રાજકોટ-જામનગર હાઈવે પર વાહનવ્યવહાર વધુ સરળ બનશે. હાલમાં ડાયવર્ઝનના કારણે શહેરના આંતરિક માર્ગો પર ટ્રાફિકનો ભારે બોજ જોવા મળે છે. નવા બ્રિજના પ્રારંભ બાદ આ દબાણમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.

વાહનચાલકો ઉપરાંત સ્થાનિક વેપારીઓ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ પણ બ્રિજ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. ટ્રાફિકની સમસ્યાને કારણે રોજિંદા જીવન અને વ્યવસાય પર અસર પડી રહી હતી. હવે બ્રિજ શરૂ થતાં મુસાફરીનો સમય ઘટશે અને વાહનચાલકોને વધુ સુવિધા મળશે.

આ પણ વાંચો: સંસ્કારી નગરીની ઓળખ પર સંકટ! : સદીઓ જૂની માંડવીના પાયામાં નુકસાનનો ખુલાસો, જીર્ણોદ્ધાર સામે મોટો પડકાર

શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ કડી

74 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલો આ બ્રિજ રાજકોટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે. વધતા ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને બનાવાયેલો આ બ્રિજ ભવિષ્યમાં પણ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે.

હાલ શહેરવાસીઓ અને વાહનચાલકોની નજર હવે સત્તાવાર જાહેરાત પર ટકેલી છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો આગામી દિવસોમાં સાંઢીયા બ્રિજ પર વાહનોની અવરજવર શરૂ થઈ જશે અને છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now