રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી આમ આદમી પાર્ટી (AAP)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભાવેશ કાતરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં પ્રદેશ નેતૃત્વ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
માહિતી મુજબ ભાવેશ કાતરિયાએ પોતાનું રાજીનામું AAPના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીને WhatsApp મારફતે મોકલ્યું હતું. રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું છે કે પાર્ટી હવે પોતાની મૂળ વિચારધારાથી ભટકી ગઈ છે અને એક કંપનીની જેમ ચલાવવામાં આવી રહી છે.
ભાવેશ કાતરિયાએ આક્ષેપ કર્યો કે પાર્ટીની વાસ્તવિકતા જાણ્યા બાદ સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેનો મુખ્ય ઉદ્દેશ માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે. તેમણે જણાવ્યું કે 2013 થી લઈને અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે તેમણે પોતાના સ્તરે શક્ય તમામ પ્રયાસો કર્યા છે.
ગોપાલ ઈટાલિયા માત્ર “એક મિનિટના ધારાસભ્ય”
તેમણે AAPના નેતા ગોપાલ ઈટાલિયા પર પણ ટિપ્પણી કરતા તેમને માત્ર “એક મિનિટના ધારાસભ્ય” તરીકે કહ્યા, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. સાથે જ ભાવેશ કાતરિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાના સાનિધ્યમાં કામ કરશે.
રાજુ કરપડાના રાજીનામા બાદ હવે ભાવેશ કાતરિયાના રાજીનામાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં લેતા આ રાજીનામું પાર્ટી માટે રાજકીય રીતે પડકારરૂપ બની શકે છે.




















