Home National Rahul Gandhi Slams Modi Government Over Neet Paper Leak

'સરકારે વિદ્યાર્થીઓની માફી પણ નથી માંગી...' : CJP ની સંસદ કૂચ અને NEET પેપર લીક પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

Rahul Gandhi on NEET Paper Leak
Image Credit: rediff.com
Published by: Nirali Gohil
Last Updated: Jul 21, 2026, 08:36 AM IST

Rahul Gandhi on NEET Paper Leak: NEET પેપર લીક મુદ્દો અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈને દેશની રાજનીતિ વધુ ગરમાઈ રહી છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના પગલે હવે સંસદથી લઈને રસ્તા સુધી સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સીધો હુમલો કરતાં આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવા છતાં સરકારે હજુ સુધી તેમની માફી પણ માંગી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના લાખો વિદ્યાર્થીઓ ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે, પરંતુ તેમની વાત સાંભળવાને બદલે સરકાર દમનનો માર્ગ અપનાવી રહી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સીધો સવાલ કર્યો કે આખરે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે તેઓ મૌન કેમ છે? રાહુલ ગાંધીએ ઘાયલ વિદ્યાર્થીઓને મળવા માટે હોસ્પિટલ જવાની પણ જાહેરાત કરી.

'સરકારે વિદ્યાર્થીઓ પાસે માફી માંગવી જોઈએ'

મીડિયા સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે સંસદ ભવન નજીક વિદ્યાર્થીઓ સાથે જે બન્યું તે દુઃખદ છે. તેમના કહેવા મુજબ, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી બાદ સરકારે સંવેદના વ્યક્ત કરવાની કે માફી માંગવાની જગ્યાએ મૌન ધારણ કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશની શિક્ષણ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છે અને પેપર લીક જેવી ઘટનાઓ લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવી રહી છે. સરકારે હવે જવાબદારી સ્વીકારીને વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો: NDA બેઠકમાં NEET પેપર લીક પર PM મોદીનું મોટું નિવેદન : કહ્યું- 'પેપર લીક મુદ્દે રાજકારણ ન થવું જોઈએ, વિદ્યાર્થીઓનું હિત અમારી પ્રથમ પ્રાથમિકતા'

લોકસભા સ્પીકર પર પણ ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા માટે વિપક્ષે લોકસભા સ્પીકરને રજૂઆત કરી હતી, પરંતુ ચર્ચા માટે સરકારની મંજૂરી જરૂરી હોવાનું કહેવામાં આવ્યું.

તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે જો સંસદમાં કોઈ મુદ્દે ચર્ચા કરવા માટે પણ સરકારની મંજૂરી લેવી પડે, તો લોકશાહીમાં સંસદની સ્વતંત્ર ભૂમિકા અંગે સવાલો ઊભા થાય છે. તેમણે સરકાર પર વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચાથી બચવાનો પણ આરોપ લગાવ્યો.

'દોષિતો સામે કાર્યવાહી નહીં, વિદ્યાર્થીઓ પર દમન'

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ, દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર મૂળ પ્રશ્નોના ઉકેલ કરતાં વિરોધ કરનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. તેમણે કહ્યું કે, જો લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે તો તેમની ચિંતાઓને ગંભીરતાથી લેવી જોઈએ. વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાને બદલે સરકારને તેમની સાથે સંવાદ સાધવો જોઈએ.

આ પણ વાંચો: 'મને ફરી દેશદ્રોહી કહેવામાં આવશે...' : વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા દિલજીત દોસાંઝ, દિલ્હી પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

સંસદમાં સતત બીજા દિવસે પણ હોબાળો

મોનસૂન સત્ર શરૂ થયા બાદ સતત બીજા દિવસે પણ લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો જોવા મળ્યો. વિપક્ષે NEET પેપર લીક સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી હતી. જોકે, ચર્ચા અંગે સહમતિ ન બનતાં બંને ગૃહોની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી. વિપક્ષનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દા પર સરકાર ખુલ્લી ચર્ચા કરવા તૈયાર નથી, જ્યારે સરકારનું કહેવું છે કે સંસદની કાર્યવાહી નિયમો મુજબ ચાલી રહી છે.

NEET મુદ્દે રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાની શક્યતા

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, સંસદમાં હોબાળો અને વિપક્ષના આક્રમક વલણને જોતા આગામી દિવસોમાં NEET મુદ્દે રાજકીય ટકરાવ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. એક તરફ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો બીજી તરફ સરકાર પોતાના વલણ પર અડગ હોવાનું જણાઈ રહ્યું છે. હવે સૌની નજર સંસદમાં આ મુદ્દે આગળ શું થાય છે અને વિદ્યાર્થીઓની માંગણીઓને લઈને સરકાર શું નિર્ણય લે છે તેના પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now