Home National Raghav Chadha Z Category Security Centre Vs Aap Punjab Government

રાઘવ ચઢ્ઢા અને AAP વચ્ચે ‘આરપાર’ની જંગ : પંજાબ સરકારે સુરક્ષા છીનવી તો કેન્દ્રએ આપ્યું Z કેટેગરીનું સુરક્ષા કવચ

Raghav Chadha Z Plus Security
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 10:11 AM IST

Raghav Chadha: આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અત્યારે પોતાની જ પાર્ટીમાં વિવાદોના વમળમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાને આપેલી Z+ સુરક્ષા અચાનક પાછી ખેંચી લેતા રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ઘટનાક્રમમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ત્વરિત નિર્ણય લઈને ચઢ્ઢાને Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડવાની જાહેરાત કરી. આ ઘટના બાદ AAP હાઈકમાન્ડ અને રાઘવ ચઢ્ઢા વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ હવે સત્તાવાર રીતે જગજાહેર થઈ ગઈ છે.

કેન્દ્રનું ‘સુરક્ષા કવચ’: દિલ્હી અને પંજાબમાં રહેશે કડક બંદોબસ્ત

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાઘવ ચઢ્ઢા પરના સંભવિત જોખમોનું વિશ્લેષણ કર્યા બાદ તેમને Z શ્રેણીની સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. આ સુરક્ષા વ્યવસ્થા હેઠળ હવે CRPF અથવા CISF ના અર્ધલશ્કરી દળોના જવાનો તેમની સુરક્ષામાં તૈનાત રહેશે. ખાસ વાત એ છે કે આ સુરક્ષા તેમને માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ પંજાબમાં પણ મળશે. કેન્દ્રએ દિલ્હી પોલીસને પણ સૂચના આપી છે કે જ્યાં સુધી કેન્દ્રીય દળોનો બંદોબસ્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવામાં આવે. કેન્દ્રની આ તત્પરતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક જન્માવી રહી છે.

“આવાજ ઉઠાવી, કિંમત ચૂકવી”: રાઘવ ચઢ્ઢાનો ઈન્સ્ટાગ્રામ પર પલટવાર

પાર્ટી દ્વારા રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવ્યા અને ત્યારબાદ સુરક્ષામાં કાપ મૂક્યા પછી રાઘવ ચઢ્ઢાએ મૌન તોડ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક સૂચક વીડિયો શેર કર્યો છે, જેનું કેપ્શન આપ્યું છે, "આવાજ ઉઠાવી, કિંમત ચૂકવી". વીડિયોમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને પદ પરથી હટાવીને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તેઓ પરાજિત થયા નથી. તેમણે પોતાના ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, જે લોકો મારા સંસદીય પ્રદર્શન પર સવાલ ઉઠાવે છે, તેમને મારો જવાબ છે કે મારું કામ જ બોલશે.

આ પણ વાંચો: નોકરી હોય તો આવી! : દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! રૂ. 3 કરોડ સુધીનું પેકેજ અને શેર બોનસ

શા માટે AAP નેતૃત્વ ચઢ્ઢાથી નારાજ થયું?

આ વિવાદના મૂળ ૨ એપ્રિલના રોજ રોપાયા હતા જ્યારે AAP એ તેમને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદેથી હટાવી દીધા હતા. પાર્ટીના આંતરિક સૂત્રો મુજબ, નેતૃત્વ એવી ફરિયાદ કરી રહ્યું હતું કે રાઘવ ચઢ્ઢા સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવવાનું ટાળી રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ પક્ષના એજન્ડા કરતા પોતાના અંગત પ્રચાર અને ઈમેજ બિલ્ડિંગમાં વધુ વ્યસ્ત હોવાનો આરોપ પણ લગાવાયો છે. બીજી તરફ, રાઘવે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેઓ સંસદમાં ગંભીર ચર્ચા કરવા માટે ગયા હતા, હોબાળો કરવા માટે નહીં.

શું રાઘવ ચઢ્ઢા ભાજપ તરફ ઝૂકી રહ્યા છે?

પંજાબ સરકાર (AAP) દ્વારા સુરક્ષા પાછી ખેંચવી અને ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા તરત જ સુરક્ષા પ્રદાન કરવી, આ ઘટનાએ અનેક અટકળોને વેગ આપ્યો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે રાઘવ ચઢ્ઢા હવે આમ આદમી પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને કદાચ તેઓ કોઈ નવી રાજકીય દિશા શોધી રહ્યા છે. કેન્દ્ર સરકારની આ મહેરબાની સૂચવે છે કે આવનારા સમયમાં દિલ્હી અને પંજાબના રાજકારણમાં કોઈ મોટો ધડાકો થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now