રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પોતાની બે દિવસીય ભારત યાત્રા પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે. શુક્રવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે તેઓ દિલ્હીના પાલમ એરપોર્ટ પરથી પોતાના વિશેષ વિમાનમાં રવાના થયા હતા.
આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે આતંકવાદ, આર્થિક પડકારો અને સાંસ્કૃતિક વારસાને બચાવવા માટે મહત્વપૂર્ણ સમજૂતીઓ થઈ હતી. જોકે, આ યાત્રા દરમિયાન પુતિને ઈશારોમાં જ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે.
પુતિનના નિવેદનથી પાકિસ્તાનને લાગશે મરચાં
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આતંકવાદ સામે મોરચો માંડીને ઉભી છે. આ ઉપરાંત અફીણના કારોબારને ખતમ કરવા માટે પણ તેઓ મોટા પગલાં લઈ રહ્યા છે. આ જ કારણ છે કે રશિયાએ તાલિબાન સરકારને માન્યતા આપી છે.
પાકિસ્તાન માટે ફટકો
નોંધનીય છે કે પાકિસ્તાન સતત અફઘાનિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતું રહ્યું છે અને હાલમાં બંને દેશો વચ્ચે તણાવ છે. તેવા સમયે પુતિન દ્વારા તાલિબાનના વખાણ પાકિસ્તાન માટે આંચકાજનક હોઈ શકે છે.
'તાલિબાને દેશને સંભાળી લીધો છે'
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, વ્લાદિમિર પુતિને કહ્યું કે દુનિયાના દરેક દેશમાં સમસ્યાઓ હોય છે અને અફઘાનિસ્તાન પણ અપવાદ નથી. દાયકાઓ સુધી ગૃહયુદ્ધનો સામનો કર્યા પછી હવે તાલિબાને અફઘાનિસ્તાનને સંભાળી લીધું છે.
અફઘાન સરકારની કામગીરીના વખાણ
પુતિને અફઘાન સરકારના વખાણ કરતા કહ્યું કે:
સ્વીકારવું પડશે કે ત્યાંની સરકારે આતંકવાદ સામે લડવા માટે અનેક પગલાં લીધા છે.
અફીણના ઉત્પાદન પર કડક રોક લગાવી છે અને ડ્રગ્સના પડકારનો મક્કમતાથી સામનો કરી રહ્યા છે.
અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ત્યાંની સરકાર સારું કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રશિયા એ પ્રથમ દેશ છે જેણે તાલિબાન સરકારને સત્તાવાર માન્યતા આપી છે





















