પટના: બિહારના રાજકારણમાં શુક્રવારની રાત ભારે રસાકસી ભરી રહી. પૂર્ણીયાના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની પટના પોલીસે તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. 31 વર્ષ જૂના એક કેસમાં કોર્ટના આદેશ બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. જોકે, આ ધરપકડ શાંતિપૂર્ણ રહી ન હતી; સાંસદના નિવાસસ્થાને લગભગ 3 કલાક સુધી પોલીસ અને સમર્થકો વચ્ચે ભારે ખેંચતાણ અને દલીલો જોવા મળી હતી. પપ્પુ યાદવે આ ધરપકડને પોતાની હત્યાનું કાવતરું ગણાવ્યું છે.
31 વર્ષ જૂનો કેસ અને છેતરપિંડીનો આરોપ
આ સમગ્ર મામલો વર્ષ 1995નો છે. પટનાના ગર્દાનીબાગ પોલીસ સ્ટેશનમાં વિનોદ બિહારી લાલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. આરોપ મુજબ, પપ્પુ યાદવ અને તેમના સહયોગીઓએ છેતરપિંડી દ્વારા એક મકાન ભાડે રાખ્યું હતું. મકાનમાલિકનો દાવો છે કે ભાડે લેતી વખતે એ હકીકત છુપાવવામાં આવી હતી કે ત્યાં સાંસદની ઓફિસ ચલાવવામાં આવશે. આ કેસ છેલ્લા ત્રણ દાયકાથી પેન્ડિંગ હતો અને પપ્પુ યાદવ વારંવાર સમન્સ છતાં કોર્ટમાં હાજર થતા ન હોવાથી કોર્ટે તેમની મિલકત જપ્તી અને ધરપકડનો આદેશ આપ્યો હતો.
મધરાતે નિવાસસ્થાને હાઈ-વોલ્ટેજ ડ્રામા
શુક્રવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે જ્યારે પોલીસ અધિક્ષક ભાનુ પ્રતાપ સિંહની આગેવાનીમાં મોટી પોલીસ ફોર્સ પપ્પુ યાદવના ઘરે પહોંચી, ત્યારે સાંસદે સાથે જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમણે દલીલ કરી હતી કે, "હું રાત્રે ક્યાંય નહીં જાઉં, તમે સવારે આવો. મને હાઉસ અરેસ્ટ કરી લો પણ અત્યારે નહીં જાઉં." પપ્પુ યાદવે આક્ષેપ કર્યો હતો કે પોલીસ સિવિલ ડ્રેસમાં આવી હતી અને તેમની પાસે કોઈ વોરંટ નહોતું. સ્થિતિ બગડતા વધુ 50 પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા હતા.
"મને મારી નાખવાનું ષડયંત્ર" – પપ્પુ યાદવનો ગંભીર આક્ષેપ
ધરપકડ દરમિયાન પપ્પુ યાદવ ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, "બિહાર પોલીસ મારી હત્યાનું કાવતરું ઘડી રહી છે. મને ડર છે કે તેઓ મને રસ્તામાં ગોળી મારી દેશે." તેમણે ફેસબુક પર પણ પોસ્ટ લખીને સત્તાપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે, "NEET વિદ્યાર્થિનીના ન્યાય માટે લડત લડવી પોલીસને ગમી નથી. જેલમાં મોકલો કે ફાંસી આપો, પપ્પુ અટકશે નહીં."
NEET વિદ્યાર્થિનીનો કેસ અને રાજકીય કનેક્શન
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પપ્પુ યાદવ પટનાની હોસ્ટેલમાં NEET વિદ્યાર્થિનીના રહસ્યમય મૃત્યુ મામલે સરકારને ઘેરી રહ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ ગુનામાં કોઈ મોટા નેતાના પુત્રનો હાથ છે અને સરકાર તેને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે. સમર્થકોનું માનવું છે કે આ અવાજને દબાવવા માટે જ 31 વર્ષ જૂના કેસમાં ઉતાવળે ધરપકડ કરવામાં આવી છે.
તબીબી પરીક્ષણ અને આગળની કાર્યવાહી
ધરપકડ બાદ પોલીસ પપ્પુ યાદવને પટનાની IGIMS હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ ગઈ હતી. આ દરમિયાન હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને "પપ્પુ યાદવ ઝિંદાબાદ" ના નારા લગાવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કોર્ટમાં હાજર ન થવા બદલ કાયદેસરની પ્રક્રિયા હેઠળ જ આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.




















