ઓડિશાના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા વર્ષ 2026 માટે બહાર પાડવામાં આવેલા સત્તાવાર કેલેન્ડરને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. 12મી સદીના આ ભવ્ય મંદિરના રત્ન સિંહાસન પર બિરાજમાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓને શાસ્ત્રોક્ત પરંપરાથી વિરુદ્ધ ખોટી સ્થિતિમાં દર્શાવવામાં આવતા ભક્તોની લાગણી દુભાઈ છે. વિવાદ વધતા શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન એટલે કે SJTA દ્વારા બુધવારે સાર્વજનિક માફી માંગીને કેલેન્ડરના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે.
જૂની હસ્તપ્રતનો ઉપયોગ કરવા જતા થઈ મોટી ભૂલ
SJTA દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, વર્ષ 2026ના કેલેન્ડરમાં ઓડિશા રાજ્ય સંગ્રહાલયમાં સચવાયેલી સદીઓ જૂની તાડના પાન પરની હસ્તપ્રતમાંથી પ્રેરણા લેવામાં આવી હતી. પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે કેલેન્ડર પરની કલા તે સમયના ચિત્રકારની શૈલી પર આધારિત હતી અને તેનો હેતુ કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જોકે, પરંપરાગત રીત-રિવાજોથી વિપરીત ચિત્રો હોવાથી મંદિરના સેવકો અને શ્રદ્ધાળુઓએ તેની ઉગ્ર ટીકા કરી છે.
કેલેન્ડરમાં કઈ ભૂલો જોવા મળી?
મંદિરની પરંપરાઓનું ઉલ્લંઘન કરતી અનેક ત્રુટિઓ આ કેલેન્ડરમાં સામે આવી છે, જે નીચે મુજબ છે:
મૂર્તિઓની અદલાબદલી: રત્ન સિંહાસન પર જ્યાં ભગવાન જગન્નાથની મૂર્તિ હોવી જોઈએ ત્યાં ભગવાન બલભદ્રને દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે બલભદ્રના સ્થાને ભગવાન જગન્નાથની મૂર્તિ ચીતરવામાં આવી હતી.
રથયાત્રાનો ખોટો ક્રમ: કેલેન્ડરમાં જૂની રથયાત્રાનું જે ચિત્ર છે, તેમાં દેવી સુભદ્રાના 'દર્પદલન' રથને સૌથી આગળ ખેંચાતો બતાવાયો છે. ત્યારબાદ ભગવાન જગન્નાથનો 'નંદીઘોષ' અને અંતમાં બલભદ્રનો 'તાલધ્વજ' રથ દર્શાવવામાં આવ્યો છે, જે વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પ્રક્રિયાથી તદ્દન અલગ છે.
નિષ્ણાતોની સલાહ વગર જ પ્રસિદ્ધ કરી દેવાયું કેલેન્ડર
આ ગંભીર બેદરકારી સામે આવતા BJDના પ્રવક્તા મોહંતીએ જણાવ્યું હતું કે SJTA દ્વારા આટલી જૂની કલાકૃતિનો ઉપયોગ કરતા પહેલા જગન્નાથ સંસ્કૃતિના નિષ્ણાતો કે વિદ્વાનોની સલાહ લેવી જોઈતી હતી. હાલમાં મંદિરના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે ટેબલ કેલેન્ડર અને વોલ કેલેન્ડરનો સ્ટોક બજારમાંથી પાછો ખેંચી લેવામાં આવે. પ્રશાસને આ ભૂલને અજાણતા થયેલી ક્ષતિ ગણાવીને ભક્તોને શાંત રહેવા વિનંતી કરી છે.





















