પંજાબ અને હરિયાણામાં નેશનલ હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે આજથી મુસાફરી મોંઘી બની છે. નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા આ બંને રાજ્યોના 8 મહત્વપૂર્ણ ટોલ પ્લાઝા પર ટોલ દરોમાં વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. નવી યુઝર ફી 15 જુલાઈથી લાગુ થઈ છે, જેના કારણે કાર, લાઇટ મોટર વાહન (LMV), બસ, ટ્રક અને અન્ય ભારે વાહનો ચલાવતા લોકોને અગાઉની સરખામણીએ વધુ ટોલ ચૂકવવો પડશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ફેરફાર નિયમિત દર સમીક્ષા પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવ્યો છે. મોટાભાગના ટોલ પ્લાઝા પર ખાનગી વાહનો માટે રૂ. 5થી રૂ. 10 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ભારે વાહનો માટે પણ સુધારેલા દર અમલમાં આવ્યા છે.
કયા ટોલ પ્લાઝા પર વધ્યા દર?
નવી ફી પંજાબ અને હરિયાણાના આઠ મુખ્ય ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવી છે. તેમાં ઘુલાલ ટોલ પ્લાઝા (NH-5), કોટ કરોર ટોલ પ્લાઝા (NH-15), કાલા તિબ્બા ટોલ પ્લાઝા, શેખપુરા ટોલ પ્લાઝા (NH-254), લેહરા બેગા ટોલ પ્લાઝા (NH-7), ખુઈયાં સરવર ટોલ પ્લાઝા (NH-7), કલાઝર ટોલ પ્લાઝા (NH-64) અને પૈંદ ટોલ પ્લાઝા (NH-52)નો સમાવેશ થાય છે. ઘુલાલ ટોલ પ્લાઝા પર હવે કાર અને અન્ય લાઇટ મોટર વાહનો માટે એક તરફની મુસાફરીનો ટોલ રૂ. 115 અને રિટર્ન મુસાફરી માટે રૂ. 170 ચૂકવવો પડશે. બસ અને ટ્રક માટે અનુક્રમે રૂ. 390 અને રૂ. 580ની નવી ફી નક્કી કરવામાં આવી છે.
અન્ય ટોલ પ્લાઝાના સુધારેલા દર
કોટ કરોર ટોલ પ્લાઝા પર કાર અને LMV માટે એક તરફનો ટોલ રૂ. 50 તથા રિટર્ન માટે રૂ. 70 નક્કી કરવામાં આવ્યો છે. બસ અને ટ્રક માટે આ દર અનુક્રમે રૂ. 165 અને રૂ. 250 રહેશે. કાલા તિબ્બા ટોલ પ્લાઝા પર કાર માટે એક તરફનો ટોલ રૂ. 50 અને રિટર્ન રૂ. 80 રહેશે, જ્યારે ભારે વાહનો માટે રૂ. 175 અને રૂ. 265 ચૂકવવાના રહેશે.
શેખપુરા ટોલ પ્લાઝા પર કાર માટે રૂ. 55 અને રિટર્ન રૂ. 85, જ્યારે લેહરા બેગા ટોલ પ્લાઝા પર રૂ. 80 અને રૂ. 120ની નવી ફી લાગુ કરવામાં આવી છે. ખુઈયાં સરવર ટોલ પ્લાઝા પર કાર માટે રૂ. 105 અને રિટર્ન રૂ. 155 નક્કી કરવામાં આવ્યા છે. લાઝર ટોલ પ્લાઝા પર કાર માટે રૂ. 115 અને રિટર્ન માટે રૂ. 175 ચૂકવવા પડશે. પૈંદ ટોલ પ્લાઝા પર કાર માટે એક તરફનો ટોલ રૂ. 95 અને રિટર્ન માટે રૂ. 145 રહેશે. તમામ સ્થળોએ બસ, ટ્રક અને ભારે વાહનો માટે પણ સુધારેલા દર અમલમાં આવ્યા છે.
"કોકપિટ વોઇસ રેકોર્ડિંગ સહિતના સંવેદનશીલ પુરાવા જાહેર નહીં થાય": AAIB એ સુપ્રીમ કોર્ટમાં કરી સ્પષ્ટતા
વાહનચાલકો અને પરિવહન ક્ષેત્ર પર શું અસર પડશે?
ટોલ દરોમાં થયેલા આ વધારાની સીધી અસર દૈનિક મુસાફરો, ખાનગી વાહનચાલકો તેમજ કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પર પડશે. લાંબા અંતરની મુસાફરી દરમિયાન પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેની અસર માલવહન ખર્ચ અને કેટલાક ઉત્પાદનોના પરિવહન ખર્ચ પર પણ પડી શકે છે. જોકે આ વધારો મર્યાદિત હોવાથી સામાન્ય મુસાફરો માટે વધારાનો ખર્ચ પ્રતિ મુસાફરી થોડા રૂપિયાનો જ રહેશે. NHAI સમયાંતરે ટોલ દરોની સમીક્ષા કરીને તેમાં જરૂરી સુધારા કરે છે. ટોલ દ્વારા એકત્ર થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ, જાળવણી અને આધુનિકીકરણ માટે કરવામાં આવે છે.






