પૂણે ફોર્ટ મર્ડર કેસ: ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી મિત્રતા સિયાના મંગેતરની હત્યાનું કારણ બની? સાહિલની પૂછપરછમાં મોટો ખુલાસો
મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પ્રખ્યાત લોહગઢ કિલ્લા (Lohagad Fort) પરથી ધક્કો મારીને ૨૫ વર્ષીય બિઝનેસમેન કેતન અગ્રવાલ (Ketan Agarwal) ની હત્યા કરવાના કેસમાં દરરોજ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ કેસમાં હવે એક નવો ‘ક્રિકેટ એન્ગલ’ સામે આવ્યો છે. મુખ્ય આરોપી સિયા ગોયલ (Siya Goyal) ના ભાઈ સાહિલ (Sahil) ની પોલીસે આશરે 10 કલાક સુધી સઘન પૂછપરછ કરી હતી, જેમાં આ પ્રેમ પ્રકરણ અને હત્યાના કાવતરા પાછળના રહસ્યો પરથી પડદો ઊંચકાયો છે.
ક્રિકેટના મેદાનમાં થઈ હતી મિત્રતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2024 માં સિયાના ભાઈ સાહિલ અને સહ-આરોપી ચેતન ચૌધરી (Chetan Chaudhary) વચ્ચે ક્રિકેટ રમવા દરમિયાન મિત્રતા થઈ હતી. બંને સાથે ક્રિકેટ રમતા હોવાથી ચેતનનું સિયાના ઘરમાં આવવા-જવાનું શરૂ થયું હતું. આ જ રમત ગમતના કનેક્શનને કારણે ચેતન અને સિયા એકબીજાની નજીક આવ્યા હતા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
ભાઈને અફેરની જાણ હતી, બહેનને આપી હતી ચેતવણી
સાહિલે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેને છેલ્લા કેટલાક મહિનાઓથી સિયા અને ચેતનના અફેર વિશે ખબર હતી. કેતન અગ્રવાલ સાથે સિયાની સગાઈ થઈ ચૂકી હોવાથી, સાહિલે તેની બહેનને ચેતન સાથેનો સંબંધ પૂરો કરવા માટે અનેક વાર સમજાવી હતી અને ચેતવણી પણ આપી હતી. જોકે, સિયા અને ચેતને તેનો સંબંધ ચાલુ રાખ્યો હતો.
આ પણ વાંચો: Pune Murder Case | પુણે પોલીસે મંગેતર સિયા અને તેના પ્રેમીને સામસામે બેસાડીને પૂછપરછ કરી | Offbeat Stories
ફોન કોલ્સ અને ડિલીટ થયેલા ચેટ્સ
પોલીસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીથી જૂન મહિના વચ્ચે સિયા અને ચેતન વચ્ચે 2,000 થી વધુ ફોન કોલ્સ થયા હતા, જેમાં તેમણે લગભગ 238 કલાક વાતચીત કરી હતી. હત્યાની ઘટનાના 1 દિવસ પહેલા એટલે કે 17 જૂને પૂણેના કોંઢવા વિસ્તારના એક કેફેમાં બંને વચ્ચે 90 મિનિટ સુધી મુલાકાત પણ થઈ હતી, જે સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે. પોલીસે જણાવ્યું કે પુરાવાનો નાશ કરવા માટે બંનેએ પોતાના ફોનમાંથી તમામ વોટ્સએપ ચેટ અને ડેટા ડિલીટ કરી દીધા હતા, જેને રિકવર કરવા માટે ફોન ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.
કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીડિત કેતનના પરિવારની મુલાકાત લીધી હતી અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ હાઈ પ્રોફાઈલ કેસ માટે જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ (Ujjwal Nikam) ની સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેથી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવી શકાય.






