Probationary IPS Officer : ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે વર્ષ 2024ની 77 આર. આર. બેચના પ્રોબેશનરી આઈપીએસ અધિકારીઓએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલએ તમામ અધિકારીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પોલીસ સેવા એ માત્ર નોકરી નથી પરંતુ માનવતાની સર્વોચ્ચ સેવા છે.
'સર્વાગી વિકાસ થાય તે જોવાની અધિકારીઓની જવાબદારી'
રાજ્યપાલએ ઉમેર્યું કે, પ્રજાતંત્રમાં તમામનો સર્વાગી વિકાસ થાય તે જોવાની અધિકારીઓની જવાબદારી અને કર્તવ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ઝડપથી અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે યુવા આઈપીએસ અધિકારીઓએ રાષ્ટ્રભક્તિને સર્વપ્રથમ રાખીને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા કટિબદ્ધ રહેવું જોઈએ.
'પીડિત લોકોના આંસુ લુછવાની શક્તિ પોલીસ અધિકારીઓ પાસે છે'
રાજ્યપાલએ જણાવ્યું કે, 'દુ:ખી અને પીડિત લોકોના આંસુ લુછવાની શક્તિ પોલીસ અધિકારીઓ પાસે છે. આપનો એક નિર્ણય કોઈ પરિવારનું ભાગ્ય બદલી શકે છે અને ગંભીર સંકટમાંથી બહાર પણ કાઢી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો અધિકારીઓ ઈમાનદારી, મહેનત અને માનવતાના ભાવ સાથે ફરજ નિભાવશે તો ભવિષ્યમાં શુભ ફળની સાથે કાર્ય સંતોષનો પણ સુખદ અનુભવ થશે. પોલીસ અધિકારી જ્યારે ગામડામાં લોકોની વચ્ચે જઈ સીધો સંવાદ કરે છે ત્યારે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને આત્મીયતા ઉભી થાય છે તેમ પણ તેમણે જણાવ્યું. રાજ્યપાલએ તમામ પ્રોબશનરી આઈપીએસ અધિકારીઓને ઉજ્જવળ ભવિષ્ય, સફળતા માટે શુભકામનાઓ પાઠવી તેમજ દેશ અને સમાજની સેવા માટે સમર્પિત રહેવા આહ્વાન કર્યુ હતું.





















