ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત મહાકુંભમાં વિશ્વભરથી શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા આવી રહ્યાં છે પરંતુ દુઃખદ વાત એ છે કે કેટલાક લોકો પ્રયાગરાજ પહોંચતા સમયે અકસ્માતનો ભોગ બની જાય છે. વધુ એક અકસ્માતની ઘટનામાં 10 શ્રદ્ધાળુઓનું મૃત્યુ નિપજ્યું જ્યારે 19 ઈજાગ્રસ્ત છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દરમિયાન, મૃતદેહોને શબગૃહમાં રાખવામાં આવ્યા છે. બોલેરોમાં સવાર તમામ લોકો 25થી 45 વર્ષની વયના હતા. આ તમામ લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા.
છત્તીસગઢથી આવી રહ્યા હતા શ્રદ્ધાળુઓ
અકસ્માત પ્રયાગરાજ-મિરઝાપુર હાઇવે પર 14 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે થયો હતો. બોલેરોની કાર અને બસ વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. આ તમામ છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા.
ઈજાગ્રસ્ત મુસાફરો મધ્યપ્રદેશની બસમાં મુસાફરી કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ બોલેરોમાં તમામ 10 ભક્તો સંગમ સ્નાન માટે આવી રહ્યાં હતા અને બીજી તરફ સંગમ સ્નાન બાદ વારાણસી જઈ રહેલા 19 જેટલા યાત્રાળુઓ આ અકસ્માતમાં ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને MCHમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મુસાફરો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના હતા.
CM યોગી આદિત્યનાથે આ મામલે માહિતી મેળવી
સીએમ યોગીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરીમાં ઝડપ લાવવાનો પણ નિર્દેશ આપ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પણ પાઠવી હતી.

_8ce106a4-0430-4842-873b-d5ff4c804bcb.jpg)




