સુરક્ષિત રોકાણની વાત આવે ત્યારે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ યોજનાઓ પર લોકોનો વિશ્વાસ આજે પણ અડગ છે. સરકારની ગેરંટી સાથે આવતી આ યોજનાઓમાં રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે. આવી જ એક લોકપ્રિય યોજના છે પોસ્ટ ઓફિસ મન્થલી ઇન્કમ સ્કીમ (Post Office Monthly Income Scheme - MIS), જેમાં એક વખત રોકાણ કર્યા બાદ દર મહિને નિશ્ચિત આવક મેળવવાની સુવિધા મળે છે.
આ યોજના ખાસ કરીને નિવૃત્ત વ્યક્તિઓ, નિયમિત માસિક આવક ઇચ્છતા રોકાણકારો અને ઓછા જોખમ સાથે બચત કરવા માંગતા લોકો માટે યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે.
કેટલું વ્યાજ મળે છે?
હાલમાં પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના પર વાર્ષિક 7.4 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજ દર સરકાર દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવે છે. યોજનાની પાકતી મુદત પાંચ વર્ષની છે અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે.
આ યોજનામાં ઓછામાં ઓછા ₹1,000થી રોકાણ શરૂ કરી શકાય છે. રોકાણ એક જ વખત કરવાનું હોય છે અને ખાતું ખોલ્યા પછીના મહિનાથી વ્યાજની માસિક ચુકવણી શરૂ થઈ જાય છે.
સિંગલ અને સંયુક્ત ખાતાની મર્યાદા
પોસ્ટ ઓફિસ MIS હેઠળ વ્યક્તિગત ખાતામાં વધુમાં વધુ ₹9 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જ્યારે સંયુક્ત ખાતામાં મહત્તમ ₹15 લાખ સુધીનું રોકાણ કરવાની મંજૂરી છે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ ત્રણ પુખ્ત વયના લોકો ભાગીદાર બની શકે છે. જો પતિ-પત્ની સંયુક્ત ખાતું ખોલાવે છે તો બંનેનો રોકાણમાં સમાન હિસ્સો ગણવામાં આવે છે.
આ પણ વાંચો: 91 પૈસાનો આ શેર 88 રૂપિયાની પાર : 9300% થી વધુની તેજી, હવે કંપની આપી રહી છે મોટું Bonus
દર મહિને કેવી રીતે મળશે ₹9,250?
જો પતિ-પત્ની મળીને સંયુક્ત ખાતામાં ₹15 લાખનું મહત્તમ રોકાણ કરે અને વર્તમાન 7.4 ટકા વાર્ષિક વ્યાજ દર લાગુ રહે, તો વાર્ષિક વ્યાજ ₹1,11,000 થાય છે. આ રકમને 12 મહિનાથી ભાગ કરતાં દર મહિને અંદાજે ₹9,250ની આવક મળે છે.
આ માસિક વ્યાજની રકમ ખાતાધારકને નિયમિત રીતે ચૂકવવામાં આવે છે, જેના કારણે નિવૃત્તિ પછી કે નિયમિત આવકની જરૂરિયાત ધરાવતા લોકો માટે આ યોજના ઉપયોગી બની શકે છે.
કોના માટે લાભદાયક?
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એવા રોકાણકારો માટે ખાસ અનુકૂળ છે, જેઓ મૂડી સુરક્ષિત રાખવા સાથે દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગે છે. શેરબજાર અથવા અન્ય જોખમી રોકાણોની સરખામણીએ આ યોજના સરકારની ગેરંટી ધરાવતી હોવાથી મૂડી સુરક્ષિત રહે છે. જો કે, રોકાણ કરતા પહેલાં વર્તમાન વ્યાજ દર, રોકાણ મર્યાદા અને અન્ય નિયમો અંગે નજીકની પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત માહિતીની ખાતરી કરી લેવી યોગ્ય રહેશે, કારણ કે સરકાર સમયાંતરે તેમાં ફેરફાર કરી શકે છે.





