Kunj-Karkara Bird Hunting: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972(સુધારા અધિનિયમ 2022)ની અનુસૂચિ-1 હેઠળ સંરક્ષિત કુંજ-કરકરા (Domesticated Crane) પક્ષીઓના શિકારના ગંભીર ગુનામાં વનવિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં શિકાર કરાયેલ 9 કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
કુંજ પક્ષીઓના સંગઠિત શિકારના ગુનાને નાબૂદ કરવા માટે વિશેષ કામગીરી
મુખ્ય વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગર આર. સેન્થીલકુમાર તથા નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગર પ્રસાદ રવિ રાધાકૃષ્ણ દ્વારા જિલ્લામાં વન્યજીવ શિકારની પ્રવૃત્તિ અટકાવવા માટે આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર મદદનીશ વન સંરક્ષક એ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફીસર, મરીન નેશનલ પાર્ક, દ્વારકા એન.પી. બેલા દ્વારા બાતમીદારોનું મજબૂત નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. કુંજ પક્ષીઓના સંગઠિત શિકારના ગુનાને નાબૂદ કરવા માટે વિશેષ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અજાણ્યા ઇસમો કુંજ પક્ષીઓના શિકાર માટે પહોંચ્યા
આ દરમિયાન તા. 02-01-2026ના રોજ ખાનગી બાતમી મળી હતી કે દ્વારકા તાલુકાના માયાસર તળાવ વિસ્તારમાં અજાણીયા ઇસમો કુંજ પક્ષીઓના શિકાર માટે પહોંચ્યા છે. બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારા માયાસર તળાવ તથા આસપાસના વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી ગોઠવવામાં આવી હતી.
બુલેટ મોટરસાયકલ પર ત્રણ ઇસમો ભાગતા નજરે પડ્યા
તા. 03-01-2026ના રોજ સવારે આશરે 08:30 વાગ્યાના સમયે માયાસર તળાવ નજીકના રસ્તેથી બુલેટ મોટરસાયકલ પર ત્રણ ઇસમો ભાગતા નજરે પડ્યા હતા. વનવિભાગની ટીમ દ્વારા પીછો કરી રેલ્વે ફાટક નજીક મોટરસાયકલને અટકાવવામાં આવ્યું હતું, જો કે બુલેટ પર પાછળ બેઠેલો ઇબ્રાહીમ નામનો ઇસમ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
સરકારી પંચો રૂબરૂ ઝડપી લેવામાં આવ્યો
ત્યારબાદ વનવિભાગ દ્વારા રૂપેણબંદર વિસ્તારમાં છાપો મારી છપરા ચોક, રૂપેણબંદર ખાતેથી આરોપી ઇબ્રાહીમ અકબર ભેસલીયાને સરકારી પંચો રૂબરૂ ઝડપી લેવામાં આવ્યો હતો. વધુ તપાસ માટે આરોપીને માયાસર તળાવ ખાતે લઈ જવામાં આવતા તેણે શિકાર કરાયેલ 9 કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો શોધી આપ્યા હતા.
દ્વારકા દ્વારા વન ગુનાનો પ્રથમ અહેવાલ
શિકાર કરાયેલ કુંજ-કરકરા પક્ષીઓ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ સંરક્ષિત જાહેર કરવામાં આવ્યા હોવાના કારણે કાયદાનો સ્પષ્ટ ભંગ થતો હોય, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, દ્વારકા દ્વારા વન ગુનાનો પ્રથમ અહેવાલ નં. 01/2025-26 તા. 03-01-2026ના રોજ નોંધવામાં આવ્યો છે. હાલ આ શિકારના સંગઠિત અપરાધમાં સામેલ અન્ય આરોપીઓને પકડવા માટે આગળની તપાસ ચાલુ છે.
નામદાર અદાલતે આરોપીની જામીન નામંજૂર કરી
આરોપીને તા. 04-01-2026ના રોજ એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતી, દ્વારકાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર અદાલતે આરોપીના જામીન નામંજૂર કરી તેને જિલ્લાજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે. આ કાર્યવાહી બાદ ઓખામંડળ અને દ્વારકા તાલુકા વિસ્તારમાં શિકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોમાં ભયનો માહોલ સર્જાયો છે.
પકડાયેલ આરોપી ઇબ્રાહીમ અકબર ભેસલીયા
આ કેસમાં ફરિયાદી તથા તપાસ અધિકારી તરીકે એન.પી. બેલા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, મરીન નેશનલ પાર્ક, દ્વારકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી ઇબ્રાહીમ અકબર ભેસલીયા, ઉંમર 26 વર્ષ, જાતે મુસ્લિમ, ધંધો માછીમારી, રહે. કમાલ ચોક, રૂપેણબંદર, તાલુકો દ્વારકા, જિલ્લો દેવભૂમિ દ્વારકાનો રહેવાસી છે.
બનાવનું સ્થળ માયાસર તળાવ, દ્વારકા–નાગેશ્વર હાઇવે આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન નંગ 9 કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો કબ્જે લેવામાં આવ્યા છે.
કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી
આ સમગ્ર કામગીરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી. બેલા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી.કે. પંડિત તેમજ વનવિભાગના સ્ટાફ એસ.જી. કણજારીયા, એચ.એસ. ડાંગર, કે.એન. ભરવાડ, પી.ડી. કંડોરીયા, છગનભાઈ ગોઠેશ્વર, વિનોદભાઈ ડાભી, માયાભાઈ માતંગ, બિજલભાઈ નાગેશ અને કિશનભાઈ માતંગ સહિતના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.





















