ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભારતની સંસ્કૃતિ અને આસ્થાનો જયઘોષ કર્યો હતો. 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'ના બીજા દિવસે શ્રદ્ધાળુઓને સંબોધતા પીએમ મોદીએ ઈતિહાસના આક્રમણો અને ભારતની જીવંત અસ્મિતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો.
આક્રમણખોરો સામે ભારતની અજેય શક્તિ
વડાપ્રધાને પોતાના સંબોધનમાં આક્રમક તેવર સાથે જણાવ્યું હતું કે 1000 વર્ષ પૂર્વે આ ભૂમિ પર હુમલો કરનારા આક્રમણખોરો એવું માનતા હતા કે તેઓ આ દેશને જીતી લેશે. પરંતુ આજે 1000 વર્ષના લાંબા ગાળા બાદ પણ સોમનાથ મંદિરના શિખર પર લહેરાતી પવિત્ર ધજા એ વાતની સાક્ષી છે કે ભારતની ક્ષમતા અને સામર્થ્યને કોઈ કચડી શક્યું નથી. તેમણે ઉમેર્યું કે આક્રમણખોરો કાળના પ્રવાહમાં વિલાઈ ગયા છે, જ્યારે ભારતની આસ્થા આજે વધુ તેજસ્વી બનીને વિશ્વ સામે ઉભી છે.
સમગ્ર વિશ્વને ગૌરવવંતો સંદેશ
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે સોમનાથની આ ધજા માત્ર એક પ્રતીક નથી, પરંતુ તે સમગ્ર બ્રહ્માંડને ભારતની પુનઃનિર્માણ કરવાની શક્તિનો પરિચય કરાવી રહી છે. આ અગાઉ વડાપ્રધાને 1 kilometer લાંબી શૌર્યયાત્રામાં ભાગ લીધો હતો અને મંદિરના રક્ષણ માટે બલિદાન આપનારા વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહાદેવની વિશેષ પૂજા કર્યા બાદ પીએમ મોદીએ ઋષિકુમારો સાથે પણ આત્મીય સંવાદ સાધ્યો હતો.





















