પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની વચ્ચેની ઐતિહાસિક મુલાકાત ભારતની કૂટનીતિમાં એક નવો અધ્યાય સાબિત થઈ શકે છે.
નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં, બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને 'નેક્સ્ટ લેવલ પાર્ટનરશીપ' સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો, પરંતુ વૈશ્વિક શાંતિ માટે એક મજબૂત સંદેશ પણ શેર કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટતા કરી કે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ ભારત માટે ચિંતાનો વિષય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હંમેશા શાંતિ અને સ્થિરતાની હિમાયત કરે છે અને તમામ વિવાદોનો ઉકેલ 'ડાયલોગ અને ડિપ્લોમેસી' (વાતચીત અને રાજદ્વારી) દ્વારા લાવવો જોઈએ.
PM મોદીએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ભારતીય નાગરિકોની સુરક્ષા ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ દિશામાં તમામ સંબંધિત દેશો સાથે કામ ચાલુ રહેશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે "અમે હંમેશા શાંતિ અને સ્થિરતા માટે અપીલ કરી છે."
બંને નેતાઓએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ પર પણ ગંભીર ચર્ચા કરી. આતંકવાદ અને કટ્ટરવાદને માનવતા માટે સામાન્ય ખતરો ગણાવતા, તેમણે તેમનો સામનો કરવા માટે એકતાનું આહ્વાન કર્યું. સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટું પગલું ભરતા, ભારત અને કેનેડાએ "ભારત-કેનેડા ડિફેન્સ ડાયલોગ" સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.
આ દ્વારા બંને દેશો ડિફેન્સ ઇન્ડસ્ટ્રી, મિલીટરી એક્સ્ચેન્જ અને મેરીટાઈમ ડોમેન અવેરનેસને પ્રોત્સાહન આપશે. આ ક્ષેત્રમાં રહેતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષાને તેમની ટોચની પ્રાથમિકતા ગણાવતા, PM મોદીએ કહ્યું કે ભારત તેમની સુખાકારી માટે તમામ દેશો સાથે કામ કરવાનું ચાલુ રાખશે.




















