ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલની સંસદ Knesset ને સંબોધિત કરતા આતંકવાદ સામે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ ઐતિહાસિક સંબોધન દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત આ કપરા સમયમાં ઈઝરાયેલની સાથે અડગ રીતે ઊભું છે. ખાસ વાત એ છે કે પ્રધાનમંત્રીને ઈઝરાયેલી સંસદના સર્વોચ્ચ બહુમાન Speaker of Knesset Medalથી નવાજવામાં આવ્યા હતા. પીએમ મોદીએ તેમના સંબોધનમાં 140 કરોડ ભારતીયો વતી મૈત્રી અને અતૂટ ભાગીદારીનો સંદેશ આપ્યો હતો.
હમાસના હુમલા પર સંવેદના અને આકરો પ્રહાર
પોતાના વક્તવ્યમાં પ્રધાનમંત્રીએ 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ઘાતકી આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નિર્દોષ લોકોની હત્યાને કોઈ પણ તર્ક કે કારણથી વાજબી ઠેરવી શકાય નહીં. તેમણે ઉમેર્યું હતું કે ભારત આ પીડાને સારી રીતે સમજે છે કારણ કે વર્ષ 2008 માં મુંબઈ પર થયેલા 26/11 ના આતંકી હુમલામાં ભારતે પણ પોતાના અને ઈઝરાયેલના અનેક નાગરિકો ગુમાવ્યા હતા.
ભારતની ‘Zero Tolerance’ નીતિ અને ડબલ સ્ટાન્ડર્ડનો વિરોધ
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને સંદેશ આપતા કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં કોઈ પણ પ્રકારના બેવડા ધોરણો (Double Standards) હોવા જોઈએ નહીં. ભારતની નીતિ હંમેશા આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની રહી છે. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું હતું કે ભારત દાયકાઓથી આતંકવાદનો ભોગ બન્યું છે અને હવે સમય આવી ગયો છે કે વિશ્વ એક થઈને આ અસ્થિરતા સામે લડે.
ગાઝા શાંતિ પહેલ અને પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું વલણ
શાંતિ સ્થાપવાના પ્રયાસો અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા માન્ય ગાઝા શાંતિ પહેલ (Gaza Peace Initiative) ભવિષ્ય માટે એક આશાસ્પદ માર્ગ છે. ભારત આ પહેલને સંપૂર્ણ ટેકો આપે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પેલેસ્ટાઈન મુદ્દાના કાયમી ઉકેલ સાથે આ ક્ષેત્રમાં સ્થિરતા આવવી જોઈએ. શાંતિનો માર્ગ કઠિન હોવા છતાં ભારત માનવતા અને હિંમત સાથે આ દિશામાં દરેક પ્રયાસોમાં વિશ્વની સાથે છે.
ભારત અને યહૂદી સમુદાયનો અતૂટ સંબંધ
ભારતમાં રહેતા યહૂદી સમુદાયના વખાણ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સદીઓથી ભારતમાં આ સમુદાય કોઈપણ ભેદભાવ કે અત્યાચાર વગર રહેતો આવ્યો છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બર 1950 ના રોજ જ્યારે ભારતે ઈઝરાયેલને સત્તાવાર માન્યતા આપી હતી, તે જ દિવસે તેમનો જન્મ થયો હતો. આ જોગાનુજોગ ભારત અને ઈઝરાયેલ વચ્ચેના અતૂટ જોડાણનું પ્રતીક છે.




















