સોમનાથ મહાદેવના ચરણે પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રેરણાદાયી પરંપરાને વેગ આપતા ત્યાં ઉપસ્થિત ઋષિકુમારો સાથે સીધો સંવાદ કર્યો હતો. 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'ના પવિત્ર અવસરે પીએમ મોદીએ વેદ પાઠ કરતા બટુકો અને સંસ્કૃતના વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવીને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી.
ઋષિકુમારોની નિપુણતાની પીએમએ કરી પ્રશંસા
સોમનાથ મંદિરમાં રૂદ્રાભિષેક અને વિશેષ આરતી પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી મંદિર પરિસરમાં આયોજિત ખાસ સત્રમાં જોડાયા હતા. અહીં તેમણે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય અને સોમનાથ ટ્રસ્ટ હસ્તકની પાઠશાળાઓના ઋષિકુમારો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને આ યુવા વિદ્વાનો સાથે અત્યંત સાહજિકતાથી વાતચીત કરી હતી અને તેમના દ્વારા કરવામાં આવતા મંત્રોચ્ચારની શુદ્ધતા તેમજ શાસ્ત્રોક્ત જ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
સંસ્કૃત ભાષા અને ભારતીય મૂલ્યો પર ભાર
આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઋષિકુમારોને જણાવ્યું હતું કે તેઓ માત્ર ભાષા નથી શીખી રહ્યા પરંતુ ભારતના ભવ્ય વારસાના રક્ષક બની રહ્યા છે. વડાપ્રધાને આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન જ્ઞાનના સમન્વય અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને શૌર્યયાત્રામાં જે રીતે 350થી વધુ વિદ્યાર્થીઓએ શંખનાદ અને ડમરુ વાદન દ્વારા વાતાવરણને શિવમય બનાવ્યું હતું તેની પીએમએ વિશેષ નોંધ લીધી હતી.
કલાકારો અને વિદ્વાનો સાથેની મુલાકાત
માત્ર ઋષિકુમારો જ નહીં પરંતુ આ મહોત્સવમાં ભાગ લેવા આવેલા વિવિધ કલાકારો સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે સોમનાથ મંદિરની પુનઃસ્થાપનાના 75 વર્ષ અને પ્રથમ આક્રમણના 1000 વર્ષના આ ઐતિહાસિક તબક્કે યુવા પેઢીનું આધ્યાત્મિક જોડાણ રાષ્ટ્રના ઉત્થાન માટે અનિવાર્ય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.





















