Metro Rail News : ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાનો પ્રારંભ વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થયો છે. PM મોદીએ કારમાંથી ઉતરીને લોકોનું અભિવાન ઝીલ્યું હતું. જે બાદ તેમણે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે.
નવો મેટ્રો રૂટ શરૂ થવાથી શહેરના આશરે 20 સેક્ટરોને થશે લાભ
સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો આ નવો મેટ્રો રૂટ શરૂ થવાથી શહેરના આશરે 20 જેટલા સેક્ટરો અને આસપાસના 3 ગામોના લોકોને સીધો લાભ મળશે. ખાસ કરીને જૂના સચિવાલય અને સેક્ટર-16 વિસ્તારમાં આવેલી અંદાજે 60 જેટલી સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે હવે રોજની આવન-જાવન ખૂબ જ સરળ, ઝડપી અને આરામદાયક બની જશે. ટ્રાફિકની મુશ્કેલી અને સમયનો બગાડ હવે મોટા પ્રમાણમાં ઘટશે.
જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે
આ ઉપરાંત આ મેટ્રો રૂટ પર આવતી કોમર્સ, પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ સહિતની કુલ 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં મોટી રાહત મળશે. વિદ્યાર્થીઓ હવે ઓછા સમયમાં સુરક્ષિત રીતે કોલેજ સુધી પહોંચી શકશે. નવા રૂટ પર કુલ 5 મેટ્રો સ્ટેશન કાર્યરત રહેશે અને અંદાજે 5.5 કિલોમીટરની મુસાફરી માત્ર થોડા મિનિટોમાં પૂર્ણ કરી શકાશે. મેટ્રો લિંક શરૂ થતાં ગાંધીનગરના વિકાસને વધુ ગતિ મળશે અને જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે.





















