Home Gujarat Pavagadh Yatra Night Walking Ban Monsoon Guidelines 2026

ચોમાસામાં પાવાગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છો? : પહેલાં જાણી લો નવું જાહેરનામું, તંત્રએ લાગુ કર્યા નવા નિયમો

Pavagadh Yatra 2026
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jul 08, 2026, 10:52 AM IST

Pavagadh Yatra 2026: દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આસ્થાના કેન્દ્ર પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે પહોંચે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાવાગઢની કુદરતી સુંદરતા અને હરિયાળી યાત્રાળુઓને વધુ આકર્ષે છે. જોકે, આ જ ઋતુમાં પહાડી વિસ્તારમાં ભારે વરસાદને કારણે પથ્થર ધસી પડવા, જમીન ધોવાણ અને રસ્તા પર લપસણું વાતાવરણ સર્જાવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને તે માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ આગામી બે મહિના સુધી પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધીના પગપાળા માર્ગ પર રાત્રિના સમયે અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તંત્રએ તમામ યાત્રિકોને આ નિયમનું પાલન કરવાની અપીલ કરી છે જેથી યાત્રા સુરક્ષિત અને સુવ્યવસ્થિત બની રહે.

બે મહિના સુધી અમલમાં રહેશે પ્રતિબંધ

જાહેરનામા અનુસાર આ પ્રતિબંધ 7 જુલાઈ, 2026થી 6 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. દરરોજ રાત્રે 10:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી માંચીથી નિજ મંદિર સુધીના પગપાળા માર્ગ પર કોઈપણ પ્રકારની અવરજવર કરવાની મંજૂરી રહેશે નહીં. તંત્રના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન સતત વરસાદના કારણે પહાડી માર્ગો પર જોખમ વધી જાય છે. ખાસ કરીને પથ્થર ખાબકવાની અને જમીન ધોવાઈ જવાની શક્યતા હોવાથી યાત્રાળુઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરતમાં મેઘતાંડવે મચાવ્યો હાહાકાર! : 20 ઈંચથી વધુ વરસાદે શહેરને કર્યું જળબંબાકાર, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યુ

માત્ર પગપાળા યાત્રા પર જ લાગુ થશે નિયમ

જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ માત્ર પગપાળા યાત્રા માટે જ લાગુ પડશે. પાવાગઢ રોપ-વે સેવા અને અન્ય સત્તાવાર પરિવહન સુવિધાઓ તેમના નિયત સમયપત્રક મુજબ યથાવત ચાલુ રહેશે.

એટલે કે, જે શ્રદ્ધાળુઓ રોપ-વે અથવા અન્ય ઉપલબ્ધ વાહન વ્યવસ્થા દ્વારા દર્શન કરવા ઇચ્છે છે, તેઓ માટે કોઈ વધારાનો પ્રતિબંધ લાગુ પડતો નથી.

સુરક્ષા તંત્રની પ્રથમ પ્રાથમિકતા

અધિક નિવાસી કલેક્ટર જે. જે. પટેલના જણાવ્યા મુજબ ચોમાસામાં યાત્રાળુઓની સુરક્ષા જ તંત્રની સૌથી મોટી જવાબદારી છે. વરસાદી માહોલમાં પહાડી રસ્તાઓ પર કોઈપણ સમયે જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રએ યાત્રાળુઓને અપીલ કરી છે કે તેઓ રાત્રિના પ્રતિબંધિત સમયગાળા દરમિયાન પગપાળા માર્ગનો ઉપયોગ ન કરે અને તમામ સૂચનાઓનું પાલન કરે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી અંગે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત : DyCM હર્ષ સંઘવીએ કહ્યું - પોલીસ ફોર્સમાં 50,000 થી વધુ યુવાનોની ભરતી થશે

પાવાગઢ યાત્રાનું આયોજન કરતા પહેલાં સમયનું રાખો ખાસ ધ્યાન

જો તમે આગામી દિવસોમાં પાવાગઢ દર્શનનું આયોજન કરી રહ્યા છો તો યાત્રા શરૂ કરતા પહેલાં સમયનું ખાસ આયોજન કરવું જરૂરી છે. ખાસ કરીને રાત્રે 10 વાગ્યા પછી પગપાળા યાત્રા કરવાની યોજના હોય તો તેમાં ફેરફાર કરવો પડશે. ચોમાસાના દિવસોમાં હવામાનમાં ઝડપથી ફેરફાર થતો હોવાથી યાત્રા પહેલાં જિલ્લા તંત્ર અથવા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી નવી સૂચનાઓ પર પણ નજર રાખવી જરૂરી રહેશે.

યાત્રાળુઓને તંત્રની અપીલ

જિલ્લા વહીવટી તંત્રએ તમામ શ્રદ્ધાળુઓને સહકાર આપવા અને જાહેરનામાનું પાલન કરવાની વિનંતી કરી છે. સુરક્ષા માટે લેવામાં આવેલા આ પગલાંનો મુખ્ય હેતુ યાત્રાળુઓના જીવનું રક્ષણ કરવાનો છે. તંત્રનું માનવું છે કે નિયમોનું પાલન કરવામાં આવશે તો ચોમાસા દરમિયાન પણ પાવાગઢ યાત્રા સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now