Home Gujarat Dholka Sargwala Farmers Protest Gspl Pipeline

"આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે." : ધોળકામાં ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતો સાથે વિરોધ દરમિયાન બોલ્યા AAP નેતા

ધોળકાના ખેડૂતોના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 08, 2026, 11:53 AM IST

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામમાં ગેસ પાઇપલાઇનના કામને લઈને ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં ખેડૂતો દ્વારા ખેતરોમાં નાખવામાં આવેલી ગેસ પાઇપલાઇન ટ્રેક્ટરની મદદથી બહાર ખેંચી કાઢવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીએ જારી કરેલી માહિતી અનુસાર, GSPL (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની ગેસ ટ્રાન્સમિશન કંપની) દ્વારા ખેડૂતોની સંમતિ વિના ખેતીની જમીનમાં ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. જોકે, આ આક્ષેપ અંગે GSPL અથવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર થઈ નથી.

આ પણ વાંચો: ભારે વરસાદને પગલે સુરત-વલસાડની મુલાકાતે જશે CM ભૂપેન્દ્ર પટેલ : પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ કરશે પરિસ્થિતિની સમીક્ષા

ખેડૂતોનો સંમતિ વિના કામગીરીનો આક્ષેપ

પાર્ટીના જણાવ્યા મુજબ, સરગવાળા ગામના ખેડૂતો છેલ્લા એક મહિનાથી આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા હતા. ખેડૂતોનો દાવો છે કે તેમણે કલેક્ટર, મામલતદાર અને અન્ય સંબંધિત અધિકારીઓને અનેક વખત લેખિત રજૂઆતો કરી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં તેમણે વિરોધનું આ પગલું ભર્યું.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, ચોમાસાની ઋતુમાં વાવણી શરૂ થઈ હોવાથી ખેતરોમાં ટ્રેક્ટર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ કારણસર ટ્રેક્ટરની મદદથી જમીનમાં દબાયેલી પાઇપલાઇન બહાર કાઢવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

બ્રિજરાજ સોલંકીનું નિવેદન

વિરોધ દરમિયાન AAPના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું કે, "આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે." તેમણે દાવો કર્યો કે ખેડૂતોની લડાઈ માત્ર વળતરની નહીં પરંતુ જમીન અને અસ્તિત્વ બચાવવાની છે.

તેમણે વધુમાં કહ્યું કે, "એક વીઘાના 10 કરોડ રૂપિયા આપે તો પણ હવે અહીં કામ થવા દેવામાં આવશે નહીં." સોલંકીના જણાવ્યા મુજબ, જો સંબંધિત કંપની પાઇપલાઇન કાયમી ધોરણે દૂર નહીં કરે તો ખેડૂતો ફરી વિરોધ કરશે.

સોલંકીએ એ પણ કહ્યું કે ખેડૂતો અહિંસાના માર્ગે આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની રજૂઆત નહીં સાંભળે તો વિરોધ વધુ ઉગ્ર બની શકે છે. તેમના દ્વારા ભગતસિંહના માર્ગે ચાલવાની ટિપ્પણી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદ બાદ AAPની કલેક્ટરને રજૂઆત : અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય અને વળતરની કરી માંગ

તંત્ર અને કંપનીના પ્રતિસાદની રાહ

આ સમગ્ર મામલે GSPL તથા જિલ્લા વહીવટી તંત્રનો સત્તાવાર પક્ષ હજુ સુધી જાહેર થયો નથી. ખેડૂતો દ્વારા કરવામાં આવેલા સંમતિ વિના જમીનમાં પાઇપલાઇન નાખવાના આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

જો આ મુદ્દે GSPL, જિલ્લા વહીવટી તંત્ર અથવા અન્ય સંબંધિત સત્તાધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર થશે, તો તેના આધારે આગળની માહિતી અપડેટ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now