હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું અનેરું મહત્વ રહેલું છે તેમાં પણ પોષ મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે 19 ડિસેમ્બર 2025 ના રોજ પોષ અમાસ આવી રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન પુણ્ય કરવાની પરંપરા છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે તે મુજબ અમાસના દિવસે પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી વિશેષ ફળ મળે છે. પિતૃઓની કૃપાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.
આ વખતની અમાસ એટલા માટે પણ ખાસ છે કારણ કે પોષ માસને નાનું પિતૃ પક્ષ પણ કહેવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર પિતૃ પક્ષની અમાસ પર પિતૃઓના નિમિત્તે કરવામાં આવેલું દાન અને તર્પણ સાત જન્મો સુધી શુભ ફળ પ્રદાન કરે છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા અને સેવા પિતૃ ઋણમાંથી મુક્તિ અપાવે છે.
પંચાંગ મુજબ પોષ કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 19 ડિસેમ્બરના રોજ સવારે 04:59 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 20 ડિસેમ્બરના રોજ સવારે 7:12 કલાકે સમાપ્ત થશે. ભક્તો માટે સ્નાન અને દાનનો શ્રેષ્ઠ સમય સવારે 5:19 થી સવારે 6:14 સુધીનો રહેશે. જ્યારે પિતૃ પૂજા માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો સમય ઉત્તમ માનવામાં આવે છે.
સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર અમાસના દિવસે સૂર્ય દેવની ઉપાસના કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે જે લોકો અમાસના દિવસે સૂર્ય પૂજાથી પોતાના દિવસની શરૂઆત કરે છે તેમને તમામ પ્રકારના રોગ અને દોષમાંથી મુક્તિ મળે છે. સૂર્ય દેવની કૃપાથી વ્યક્તિના તમામ અટકેલા કાર્યો સફળ થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે.
આ પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ નદી કિનારે યથાશક્તિ દાન કરવું જોઈએ. સવારે તાંબાના લોટામાં જળ ભરીને સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરવું અને સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું તેમજ શિયાળાની ઋતુ હોવાથી ગરમ કપડાં અથવા ધાબળાનું દાન કરવું શ્રેષ્ઠ ગણાય છે. આ ઉપરાંત ગૌશાળામાં જઈને ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી અથવા ધનનું દાન કરવું જોઈએ. ઘરની છત પર અથવા જાહેર સ્થળોએ પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે.





















